અમદાવાદ : સ્વતંત્રતા દિવસની ઉજવણીને વધુ ભવ્ય બનાવવા માટે અમદાવાદ શહેરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને સફળ બનાવવા માટેની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ મહામંત્રી અને શહેર અધ્યક્ષની ઉપસ્થિતિમાં આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન આ વર્ષે અમદાવાદ શહેરમાં 10 લાખથી વધુ તિરંગાના વિતરણનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. શહેરના દરેક વિસ્તાર સુધી અભિયાનનો વ્યાપ વધારવા માટે સંગઠનના કાર્યકરોને સક્રિય બનાવવાની સાથે દરેક પરિવાર સુધી રાષ્ટ્રધ્વજ પહોંચે તે માટે સુનિયોજિત આયોજન તૈયાર કરવામાં આવ્યું છે.અભિયાનમાં કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદો ઉપરાંત વિવિધ સામાજિક સંગઠનોનો પણ સહયોગ લેવામાં આવશે.
દરેક વોર્ડમાં તિરંગા યાત્રાનું આયોજન કરીને વધુમાં વધુ લોકો સુધી રાષ્ટ્રધ્વજ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.અમદાવાદ શહેરનું પ્રતિનિધિમંડળ 10 ઓગસ્ટે ગાંધીનગરમાં યોજાનારી તિરંગા યાત્રામાં પણ ભાગ લેશે. બેઠકમાં દરેક ઘર સુધી તિરંગો પહોંચે અને રાષ્ટ્રધ્વજને સ્વાભિમાનના પ્રતિક તરીકે ઘર-ઘર લહેરાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
ગયા વર્ષે અમદાવાદમાં 7 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે દેશભરમાં સાડા સાત કરોડથી વધુ લોકો હર ઘર તિરંગા અભિયાન સાથે જોડાયા હતા. આ વર્ષે આ અભિયાનને વધુ વ્યાપક અને જનભાગીદારીયુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.


