અમદાવાદ : રાજ્યમાં એસીબી દ્વારા લાંચિયા લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી બહુમાળી બિલ્ડિંગમાં સહાયક રાજ્ય વેરા કમિશ્નર કચેરીમાં સ્ટેટ ટેક્ષ ઓફિસર અને રાજય વેરા નિરીક્ષક રૂ. 25 હજારની લાંચ લેતા ACB ના છટકામાં સપડાયા હતા.
રિપોર્ટ મુજબ, અમદાવાદમાં લાલદરવાજા બહુમાળી ભવન ખાતે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેંક ખાતું અનફ્રીઝ કરવા માટે વેપારી પાસે 25,000 રૂપિયાની લાંચ માંગનાર 2 અધિકારીઓ ACBની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ ગયા છે, સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરીમાં ફરજ બજાવતા સ્ટેટ ટેક્સ ઓફિસર કમલેશ ઠાકોર અને રાજ્ય વેરા નિરીક્ષક અઝીઝ મન્સૂરી ફરિયાદીનું બેંક ખાતું અનફ્રીઝ કરવા માટે ગેરકાયદેસર રીતે નાણાંની માંગણી કરી રહ્યા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ ACBનો સંપર્ક કર્યો હતો, અને ACBની ટીમે સફળ છટકું ગોઠવી બંને ભ્રષ્ટ અધિકારીઓને ઝડપી પાડ્યા હતા.જેના કારણે સરકારી વિભાગોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
હાલમાં ACB દ્વારા પકડાયેલા બંને આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેમજ તેમના અન્ય દસ્તાવેજો અને બેંક ખાતાઓની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી આ ભ્રષ્ટાચારના રેઢિયાળ નેટવર્કનો પર્દાફાશ કરી શકાય.ACBની કાર્યવાહીથી લાંચિયા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.


