અમદાવાદ : રક્ષાબંધનના પવિત્ર તહેવારને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં એક અનોખા અને સંવેદનશીલ અંદાજમાં ઉજવ્યો હતો. તેમણે પોતાના સંસદીય ક્ષેત્રની દીકરીઓ, ખાસ કરીને ટાઇપ વન ડાયાબિટીસથી પીડિત દીકરીઓ સાથે આ પર્વ મનાવ્યો હતો. આ પ્રસંગે, અમિત શાહે દીકરીઓ પાસેથી રાખડી બંધાવી અને તેમના રક્ષણ તથા સ્વાસ્થ્યની જવાબદારીને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
રિપોર્ટ મુજબ, અમદાવાદ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત દીકરીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. અમિત શાહે ટાઇપ વન ડાયાબિટીસ ધરાવતી તમામ દીકરીઓને રક્ષાબંધનની અનોખી ભેટ આપતા જણાવ્યું હતું કે તેમને આજીવન નિશુલ્ક ઇન્સ્યુલિન પૂરું પાડવામાં આવશે. આ નિર્ણયથી આ દીકરીઓના પરિવાર પરનો આર્થિક બોજ નોંધપાત્ર રીતે હળવો થશે.
વધુમાં, અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર ઇન્સ્યુલિન આપવું પૂરતું નથી, પરંતુ દીકરીઓનું આરોગ્ય સતત સારું રહે તે માટે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં એક સુદ્રઢ અને સંકલિત આરોગ્ય વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.આ સિસ્ટમ અંતર્ગત ટાઇપ વન ડાયાબિટીસના દર્દીઓનું યોગ્ય સ્ક્રીનિંગ, નિયમિત બ્લડ શુગર ટેસ્ટિંગ અને ડોક્ટર દ્વારા જરૂરી ફોલોઅપ સારવાર પૂરી પાડવામાં આવશે, જે દીકરીઓના દીર્ઘકાલીન સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
રક્ષાબંધનના પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે દીકરીની રક્ષા અને તેનું સ્વાસ્થ્ય સરકારની મહત્વપૂર્ણ પ્રતિબદ્ધતા છે. ટાઇપ-1 ડાયાબિટીસ સામે સંઘર્ષ કરી રહેલી દીકરીઓને સારવાર, ઇન્સ્યુલિન અને જરૂરી તબીબી સહાય સતત મળી રહે તે માટે તંત્ર તેમની સાથે ઊભું રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. રક્ષાબંધન પર દીકરીઓ પાસેથી રાખડી બંધાવ્યા બાદ તેમને આજીવન મફત ઇન્સ્યુલિનની ભેટ આપવાની જાહેરાતે કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો.


