અમદાવાદ : હાલમાં ઋતુ બદલાઈ રહી છે ત્યારે ખાસ કરીને શરદી, ખાંસી, કફ અને તાવનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે.H3N2 વાયરસનું સંક્રમણ આ બદલાતી ઋતુમાં વધ્યું છે ત્યારે બાળકો-વિદ્યાર્થીઓમાં પણ શરદી ખાંસીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયાત કરાય તે અનિવાર્ય છે.
WHO ના જણાવ્યા મુજબ, હાલના સમયમાં H3N2 વાયરસનું સંક્રમણ સ્વાભાવિક રીતે વધી રહ્યું છે. જેને કારણે તાવ, શરદી, ખાંસી અને કફ જેવી સમસ્યાઓ માં વધારો થતો જોવા મળે છે. ત્યારે કોરોનાની વેવ માંથી માંડ માંડ બહાર આવી રહ્યા છે ત્યારે આ વાયરસ ને હળવાશથી ન લેવાને બદલે સતર્ક રહેવાની જરૂર છે.
અમદાવાદ સહીત ગુજરાતમાં અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓમાં પણ શરદી ઉધરસના કેસો હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે કોરોના કેસમાં પણ ડબલ ડીજીટમાં નોંધવા લાગ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે ‘પાણી પહેલાં પાળ’ બાંધવામાં આવે અને વિદ્યાર્થીઓ આ વાઇરસનો શિકાર ન બને તે માટે માસ્ક ફરજિયાત બનાવાય તે જરૂરી છે. કારણ કે આજથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે.
સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જ્યારે વર્ગખંડમાં બેસતા હોય ત્યારે જો કોઈ એક વિદ્યાર્થી પણ આ વાયરસનો શિકાર બનેલો હોય તો તેનો ચેપ અન્ય વિદ્યાર્થીઓને લાગી શકે છે. માટે શાળાઓમાં માસ્ક ફરજિયાત બનાવાય એ જરૂરી છે કારણ કે સતર્કતા એ જ સ્વસ્થતા માટે અનિવાર્ય માનવામાં આવે છે.