અમદાવાદ : અમદાવાદમાં ગુનેગારો એટલા બધા શાતિર થઇ ગયા છે કે, હવે તેઓ પહેલાં વાહન ચોરી કરે છે અને બાદમાં તેના પર ચોરી, લૂંટ અથવા ચીલ ઝડપ કરવા માટે નીકળે છે. જો તમારું વાહન ચોરાય તો તરત જ પોલીસ ફરિયાદ કરી દેજો, નહીં તો ગુનાના આરોપસર પોલીસ તમારી આકરી પૂછપરછ કરી શકે છે. ગત મહિને મેમ્કો વિસ્તારમાં શિવકૃપા જ્વેલર્સ તેમજ સીટીએમના મહાલક્ષ્મી જ્વેલર્સમાં બંદૂકની અણીએ લૂંટ કરવાની કોશિશ કરવામાં આવી હતી. આ બંને ચકચારી કિસ્સામાં લૂંટારાએ ચોરીનાં વાહનનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે થોડા દિવસ પહેલાં સીજી રોડ પર આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ૫૦ લાખ ભરેલી બેગની ચીલ ઝડપ થઇ હતી. જેમાં પણ ચોરીના બાઇકનો ઉપયોગ થયો હોવાની આશંકા છે.
જો તમારું વાહન ચોરાય તો તરત પોલીસ ફરિયાદ કરજો નહીં તો તમે ચોરી, લૂંટ, દારૂની ખેપ મારવા જેવા અનેક ગંભીર ગુનામાં ફસાઇ શકો છો. હાલમાં ચોરી, લૂંટના જે બનાવો બન્યા છે તેમાં લૂંટારુ ટોળકીઓએ ચોરીનાં વાહનોનો ઉપયોગ કર્યો હોવાનો ઘટસ્ફોટ થઇ રહ્યો છે. જેથી જ્યારે પણ તમારું વાહન ચોરાય ત્યારે તરત જ પોલીસને જાણ કરી દેવી હિતાવહ છે. શહેરમાં રોજબરોજ સંખ્યાબંધ વાહનોની ચોરી થાય છે જેમાં કેટલીક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતી નથી જ્યારે કેટલીક ફરિયાદો મોડી નોંધાય છે. જેનો સીધો ફાયદો ચોરી કરનાર ગેંગ ઉઠાવે છે. નિર્દોષ લોકો પોલીસના સકંજામાં આવી જાય અને લૂંટારુઓ લૂંટેલો માલ લઇને નાસી જાય તે રીતનો પ્લાન ઘડીને અમદાવાદમાં થઇ રહેલી લૂંટનું આયોજન કરવામાં આવતું હોય છે. લૂટારુંઓ પહેલાં બાઇકની ચોરી કરતા હોય છે અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપતા હોય છે. લૂંટ થઇ ગયા બાદ આરોપી એ બાઇકને બિનવારસી મૂકીને નાસી જાય છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં જે કોઇ પણ લૂંટ, ચેઇન સ્નેચિંગ, પર્સ સ્નેચિંગ, ચીલ ઝડપની ઘટનાઓ બને છે તેમાં ચોરીનાં બાઇકનો ઉપયોગ થાય છે. ગત મહિને મેમ્કો વિસ્તારમાં આવેલા શિવકૃપા જ્વેલર્સમાં હથિયાર લઇને શખ્સો આવ્યા હતા. જ્વેલર્સના માલિક પૂજા કરતા હતા ત્યારે લૂંટારુઓએ તેમને રિવોલ્વર બતાવીને લૂંટ કરવાની કોશિશ કરી હતી. જોકે સોનીએ બૂમાબૂમ કરતાં તે બાઇક લઇને ભાગી ગયા હતા. લૂંટારા પોતાનું બાઇક ચામુંડા બ્રિજની નીચે મૂકીને નાસી છુટ્યા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમે બાઇક જમા કર્યું છે. ક્રાઇમ બ્રાંચે તપાસ કરી તો જાણવા મળ્યું કે બાઇક ચોરીનું છે. જેની ફરિયાદ ગાંધીનગર ઇન્ફોસિટીમાં નોંધાઇ છે. આ સિવાય સીટીએમ ખાતે આવેલા મહાલક્ષ્મી જ્વેલર્સમાં પણ લૂંટારા બંદૂક લઇને ધસી આવ્યા હતા અને લૂંટ કરવાની કોશિશ કરી હતી. જોકે સોનીએ પ્રતિકાર કરતાં લૂંટારા નાસી છુટ્યા હતા. આ ઘટનામાં પણ ટુ વ્હીલર ચોરી હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા સી.જી.રોડ આંગડિયા પેઢીના કર્મચારી 50 લાખ રૂપિયા લઇને જઇ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા શખ્સો બેગ ખેંચીને નાસી ગયા હતા. આ કેસમાં પણ ચોરીના બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પોલીસને શંકા છે.
મોટાભાગના કેસોમાં પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજમાં જે બાઇકનો ઉપયોગ થયો હતો તેમાં પોલીસે બાઇકના માલિકની અટકાયત કરતી હોય છે અને બાદમાં લૂંટમાં ભોગ બનનાર લોકોને બતાવતા હોય છે. વાહનના માલિક લૂંટારાને ઓળખવાનો ઇનકાર કરી દે તો પણ તેમને થર્ડ ડીગ્રીનો પણ સામનો કરવો પડે છે. જો વાહનના માલિક પોલીસ ફરિયાદ તરત જ કરી દે તો તેમને થર્ડ ડીગ્રીનો સામનો કરવો પડતો નથી. ટુ વ્હીલરનો ઉપયોગ ચોરી, લૂંટ માટે થાય છે જ્યારે કારનો ઉપયોગ ફાયરિંગ, દારૂની ખેપ તેમજ અપહરણ કરવા જેવા મામલે થાય છે.


