અમદાવાદ : શહેરના નવા વાડજમાં આવેલ જીનિયસ જનરેશન પ્રી સ્કૂલ દ્વારા સતત નવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં કેળવણીની સાથે લાઇફ સ્કિલ્સ એજ્યુકેશન પણ આપવાના પ્રયત્નો કરવામાં આવે છે. જે બાબતોને ધ્યાનમાં રાખી આજે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનો સાયન્સ સીટી ખાતે આવેલ માછલીઘરનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો.

નવા વાડજની જીનિયસ જનરેશન પ્રી સ્કૂલના સંચાલક ઝલક વાળા ભાવસારના જણાવ્યા મુજબ સાયન્સ સીટી ખાતે આવેલ માછલીઘર એ દેશનું સૌથી મોટું માછલીઘર છે, માછલીઘરની મુલાકાત દરમિયાન બાળકો ભારે ઉત્સાહી જોવા મળ્યા હતા. આ પ્રવાસ દરમ્યાન બાળપણથી જળચર પ્રાણીઓના જ્ઞાન સાથે જુદા જુદા પ્રકારની માછલીઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સ્કૂલમાં આવતા બાળકોમાં બાળપણથી જ જળચર પ્રાણીઓ વિશે અભિગમ કેળવાય તે હેતુથી અને સાથે સાથે જળચર પ્રાણીઓ વિશે સ્પષ્ટ ખ્યાલ આપવા માટે સાયન્સ સિટી ખાતે આવેલ માછલીઘર શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું.



