અમદાવાદ: અમદાવાદીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે ટૂંક જ સમયમાં અમદાવાદ સાબરમતી નદીમાં વધુ એક નજરાણું ઉમેરાશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ કરવા જઈ રહ્યું છે. આ ક્રૂઝને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે. ક્રૂઝ તૈયાર થઇ ગયુ છે અને હવે સાબરમતી નદીમાં ટ્રાયલ શરુ કરાયું છે. તેને જૂન મહિનામાં શરુ કરવામાં આવશે તેવો અંદાજ છે. સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ઓપનિંગ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માંગવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી નદીમાં ક્રૂઝનું ટ્રાયલ શરુ કરવામાં આવ્યુ છે. ક્રૂઝના ટ્રાયલના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તસવીરોમાં આ અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આ નજારો લોકો ક્રુઝમાં બેસીને માણી શકશે.ફલોટિંગ રેસ્ટોરન્ટમાં એક સાથે 125થી 150 લોકો એક સાથે આ ક્રુઝ ઉપર બેસી શકશે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર અપાયો છે. દેશમાં પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે, જે નદીમાં કાર્યરત હશે. લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે રહેશે.
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ માત્ર અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર દેશ માટે એક લેન્ડ માર્ક છે, ત્યારે સાબરમતી નદી પર રિવર અક્ષર ફ્લોટિંગ ક્રૂઝ તૈયાર કરાઇ છે. આગામી દિવસમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થશે. લોકો આ ક્રૂઝ ઉપર રેસ્ટોરેન્ટ અને મ્યુઝિકની મજા માણી શકશે. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકે સેવા આપશે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટે ઉદ્યાનો અને બગીચાઓ, રિવરસાઇડ પ્રોમીનાડ, ફૂડ કોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર, વોકવે, ઘાટ વગેરેના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી છે. આ પ્રોજેક્ટેના કારણે રિવરફ્રન્ટ પર આવવા અને મનોરંજન માટે એક વધુ નજરાણું ઉમેરાશે. આ રિવર ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં સફર કરતી વખતે સ્વાદિષ્ટ ભોજનની સાથે આનંદથી ભરપૂર પ્રવૃત્તિઓ હશે અને લોકો માટે આરામદાયક મુસાફરી બની જશે. પ્રોજેક્ટના સમગ્ર વિકાસના લીધે નદી આરામ અને મનોરંજન માટેનું શ્રેષ્ઠ સ્થાન બની રહેશે.