અમદાવાદ : સુરતમાં બનેલા ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ જેવો ચોંકાવનારો મામલો અમદાવાદના સરદારનગરમાં વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં પરિણીતાના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે છરીના ઘા મારીને લોહીલુહાણ કરી નાખી હતી. પરિણીતાએ લગ્નની ના પાડતા જ ગુસ્સે થયેલો યુવક છરી લઈને તૂટી પડ્યો અને ગળાના ભાગે છરી મારી દીધી હતી. ત્યારે લોહીલુહાણ હાલતમાં પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો પોલીસે આરોપી પ્રેમીને પણ પકડી લીધો છે.
વિગતો મુજબ, અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહેતી નિશા (નામ બદલ્યું છે)નાં લગ્ન રાજસ્થાનમાં તેમના સમાજના યુવક સાથે થયાં હતાં. લગ્ન બાદ નિશા તેના પતિ સાથે રાજસ્થાન રહેતી હતી. જ્યાં તે એક બાળકની માતા બની હતી. થોડા સમયથી પતિ સાથે અણબનાવ થતા તે તેના બાળકને લઈને પિયર અમદાવાદ આવી ગઈ હતી. થોડા સમય બાદ પરિણીતાએ તેના બાળકને ભણવા માટે નજીકની શાળામાં મૂકી દીધો હતો. તે રોજ રિક્ષામાં દીકરાને સ્કૂલે મૂકવા માટે જતી હતી. દરમિયાન તેની રીક્ષા લઈને આવનારા નવીન કોસ્ટી નામના યુવક સાથે ઓળખાણ થઈ હતી.
નવીન અને નિશા એકબીજા સાથે પરિચયમાં આવ્યા અને બંને ઘણીવાર ફોન પર વાતો કરતા હતા. એવામાં નવીન નિશાના પ્રેમમાં પડ્યો અને તેને પામવાના પ્રયાસ કરવા લાગ્યો. પરંતુ બીજી તરફ નિશાના છૂટાછેડા નહોતા થયા. એવામાં ગઈકાલે બપોરે નવીને પોતાના પરિવારને લઈને નિશાના ઘરે પહોંચી ગયો અને બધાની હાજરીમાં નિશાને લગ્ન કરવા માટે કહ્યું. જોકે નિશાએ લગ્નની ના પાડી દીધી, કારણ કે તેના છૂટાછેડા નહોતા થયા. પણ નવીન લગ્નની જીદ પકડીને બેઠો હતો અને કોઈ રીતે વાત માનવા તૈયાર નહોતો.
નિશાએ લગ્નની ના પાડતા જ નવીને પોતાની પાસે રહેલી છરી કાઢી અને નિશાના હાથમાં મારી દીધી હતી. આ બાદ તેણે ગળા પર પણ છરીના ઘા મારી દીધા હતા. ત્યારે નિશા ઘટનામાં લોહીલુહાણ થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બીજી તરફ આરોપી નવીનને પણ સરદારનગર પોલીસે ઝડપી લીધો હતો.