અમદાવાદ: અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે ત્યારે દરિયાપુર પાસે એક દુર્ઘટના બની હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રા પસાર થતી હતી ત્યારે એક દુર્ઘટના સર્જાઈ હતી. કડિયા નાકા વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. AMC દ્વારા દુર્ઘટના થયા બાદ મકાન જોખમી હોવાની ચેતવણીનું સ્ટીકર લગાવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં રથયાત્રાના પર્વ દરમિયાન દરિયાપુરમાં કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. દુર્ઘટના સમયે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે નીચે ઊભેલા લોકો પર કાટમાળ પડ્યો હતો. જેમાં 3 બાળકો સહિત 8 જેટલા ભાવિકોને ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે પોલીસે કાટમાળમાં ફસાયેલા લોકોને દોડને બચાવ્યા હતા અને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે રથયાત્રામાં વિના અવરોધે પોતાના રૂટ પર આગળ વધી રહી છે.
નોંધનીય છે કે રથયાત્રાના રૂટ પર જર્જરિત મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. રૂટ પર 312 જેટલા મકાનોને નોટિસ અપાઈ હતી. જેમાં ખાડિયામાં 180 મકાનો, દરિયાપુરમાં 109 મકાનોને ભયજનક હોવાની નોટિસ અપાઈ હતી. જમાલપુરમાં 10, શાહીબાગમાં 9 અને શાહપુરમાં 4 મકાનોને પણ નોટિસ આપવામાં આવેલી છે.