અમદાવાદ : અમદાવાદમાં હજૂ થોડા દિવસો પહેલા જ ઈસ્કોન બ્રિજ પર પુરપાટ સ્પીડે કાર ચલાવીને 10 લોકોને કચડી નાખ્યા હતા તે ઘટના હજૂ ભૂલાઈ નથી ત્યા શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો છે. નશાની હાલતમાં કાર ચલાવતા અકસ્માત સર્જાયો હતો.જેના કારણે આખી કાર ઊંધી થઇ ગઇ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. આ કારમાં ચારથી પાંચ લોકો પણ હોવાનું સામે આવ્યુ છે. જોકે, કારમાંથી બિયરની બોટલો મળી આવી છે. હાલ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મણિનગર વિસ્તારમાં રવિવારે મોડી રાતે રાજકમલ બેકરી પાસે એક કાર પૂરપાટ સ્પીડમાં આવી રહી હતી. આ ચાલકનો સ્ટિપરિંગ પર કાબુ ન રહેતા કાર બાંકડા સાથે અથાડી દીધી હતી. જેના કારણે આ કાર આખી ઊંધી થઇ ગઇ હતી. તો બીજી બાજુ બાંકડા પર લોકો પણ બેઠા હતા પરંતુ તેઓ કાર આવતી દેખાતા ત્યાંથી હટી ગયા હતા. જો તેઓ બાંકડાથી ઉભા થવામાં થોડી પણ વાર કરતા તો વિચારી પણ ન શકાય તેવું પણ બની શકતુ હતુ. પરંતુ સદનસીબે ત્યાં બેઠેલા કોઇને પણ કોઇ ઇજા થઇ નથી.
આ અકસ્માત થતાની સાથે ત્યાં સ્થાનિકોનું ટોળી ભેગુ થઇ ગયુ હતુ. જ્યાં લોકોએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, ગાડીમાં સવાર લોકો નશાની હાલતમાં છે. જેના કારણે જ તેઓએ આ અકસ્માત કર્યો છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર આવીને કારમાં તપાસ કરી હતી. આ કારમાંથી બિયરની બોટલો પણ મળી આવી હતી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
થોડા દિવસ પહેલા જ શહેરનાં એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ નજીક બનેલી આ ઘટનામાં અગાઉથી એક અકસ્માતની ઘટના બની હતી જેમાં ડમ્પર અને થાર કારની ટક્કર થઈ હતી. તે પછી લોકોના ત્યાં ટોળા હતા અને બીજી તરફ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ખૂબ સ્પીડમાં આવી રહેલી જેગુઆર કાર આ ટોળા પર ફરી વળી હતી જેમાં પોલીસકર્મી સહિત 10 લોકોના મોત થયા હતા. ત્યાર બાદ આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી.