અમદાવાદ : શહેરમાં થોડા દિવસો પહેલા ઈસ્કોન બ્રિજ પર થયેલા ગોજારા અકસ્માતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં શહેરમાં એક બાદ એક નબીરાઓના અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. બે દિવસ પહેલા મણીનગર બાદ અમદાવાદ શહેરમાં ગત રાત્રીના બે અકસ્માતો સર્જાયા જેમાં શહેરના માનસી સર્કલથી માણેકબાગ વચ્ચે નશાની હાલતમાં બેફામ રીતે નશાની હાલતમાં BMW કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો તો બીજી તરફ પંચવટી ચાર રસ્તા પર બેફામ આવતી કારે ઓટો રિક્ષાને અડફેટે લેતા 2 મહિલા, 2 બાળકો અને 1 પુરુષ ઈજાગ્રસ્ત થતા તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) ખસેડવામાં આવ્યા છે. ખાસ વાત છે કે પોલીસ દ્વારા હાલમાં શહેરભરમાં ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, આ વચ્ચે પણ નબીરાઓ બેફામ બનીને દારૂ પીને વાહન લઈને નીકળી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં ગત મોડી રાત્રીના માનસી સર્કલ થી માણેકબાગ સર્કલ સુધી કમલેશ બિશનોઇ (Kamlesh Bishnoi) નામના શખ્શે નશાની હાલતમાં બેફામ રીતે BMW કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો. માણેકબાદ પાસે આ શખ્સની કારનું ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટના દરમિયાન રાહદારીઓ ગભરાયા હતા.નાગરિકોના જીવનને જોખમમાં મૂકીને કાર હંકારતા કમલેશ બિશ્નોઈને (Kamlesh Bishnoi) નાગરિકોએ બરોબરની સરભર કરી હતી અને પોલીસને સોંપ્યો હતો. મોડી રાતે નશાની હાલતમાં હોવાથી પોલીસને તે જવાબ આપવા જેટલો પણ સક્ષમ નહોતો. હાલ પોલીસ કમલેશ બિશ્નોઈની પુછપરછ કરી રહી છે.
અકસ્માતના બીજા બનાવમાં રાત્રીના બે વાગ્યાના અરસામાં અમદાવાદના પંચવટી ચાર રસ્તા પાસે એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સીજી રોડ તરફથી આવતી કારે રામદેવનગર તરફથી આવતી રિક્ષા સાથે અકસ્માત સર્જાયો જેમાં રિક્ષા પલ્ટી ખાઈ ગઈ જેમાં 5 લોકો સવાર હતા જેમને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. દશામાનું જાગરણ હોવાથી પરિવાર રિક્ષામાં એલિસબ્રિજ તરફ જઈ રહ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટના બાદ શહેરભરમાં પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ મણીનગરમાં પણ દારૂ પીને એક કાર ચાલકે અકસ્માત સર્જીને કાર દિવાલ સાથે અથડાવી હતી. કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. જે બાદ પોલીસે તેમને જાહેરમાં અકસ્માત સ્થળે લઈ જઈને મેથીપાક આપ્યો હતો.


