અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં યોજાનારા અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. શનિવારે તેઓ સરખેજ, ગોતા, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે અમદાવાદમાં 1651 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદના સરખેજ, ભાડજ, ઓગણજ, અને જગતપુરમાં નવા તળાવના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ ત્રાગડમાં બનેલા પબ્લિક પાર્ક અને તળાવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે અમદાવાદ અને ઔડા દ્વારા નિર્મિત વિવિધ સુવિધાઓની શરૂઆત પણ કરાવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રાગડ પાસે લલિતા ગોવિંદ ઉદ્યાન નજીક જાહેર સભા સંબોધન કર્યુ. જેમાં તેમણે નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે લોકો માગે તે પહેલા જ સરકારે વિકાસના કામો કર્યા છે. 50 વર્ષે કામ થાય તેવા 4 કામ માત્ર 3 મહિનામાં કર્યા છે. તેમણે જણાવ્યુ કે હું આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે ગુજરાત સરકારનો આભાર માનુ છું. તેમણે જણાવ્યુ કે મે જ્યારે જ્યારે પત્ર લખ્યો હોય. પછી ભલે તે ઔડાનું કામ હોય, AMCનું કામ હોય કે પછી સરકારનું કામ હોય, મોટાભાગના કામોને પ્રાથમિકતા આપીને કરવામાં આવ્યા છે.

આ સાથે જ અમિત શાહે માહિતી આપી હતી કે છેલ્લા 52 મહિનામાં ગાંધીનગર વિસ્તારમાં 17 હજાર 544 કરોડ રુપિયાના કામો થયા છે. તેમાં ભારત સરકારના કામો અલગથી છે. તેમણે વડાપ્રધાન મોદીની કામગીરીની પ્રશંસા કરતા કહ્યુ કે અત્યાર સુધીમાં G20નું આયોજન ઘણા દેશોએ કર્યુ છે. જો કે ભારતમાં થયેલા આયોજનને લઇને બધા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ એકમુખે કહ્યુ કે G20નું આયોજન જે ભારતે કર્યુ છે, તે આવનારા 25 વર્ષ માટે વિશ્વના તમામ દેશો માટે પડકારરુપ રહેશે.

ભારતે આફ્રિકન યુનિયનને G20માં જોડવાનું કામ કર્યુ છે અને સમગ્ર વિશ્વમાં નેતૃત્વનો સંદેશ આપ્યો છે. સાથે જ તેમણે વડાપ્રધાન દ્વારા પાસ કરાવાયેલા મહિલા અનામત બિલની પણ વાત કરી અને જણાવ્યુ કે વર્ષોથી લટકતા મહિલા અનામત બિલને નવી સંસદમાં પહેલા બિલ તરીકે પાસ કર્યુ છે.


