અમદાવાદ : રાજ્ય સરકારે વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકોને ન્યાય અપાવવા ખાસ ઝૂંબેશ ચલાવી હતી. પરંતુ જેવી આ ઝૂંબેશ નબળી પડી કે, થોડા જ સમયમાં વ્યાજખોરો ફરીથી સક્રિય બની ગયા છે. લોકોના ઘર, મિલકત અને જમીન પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યાં છે.
રાજ્યના ગૃહ વિભાગે રાજ્યભરમાં ઝૂંબેશ શરૂ કરી હતી ત્યારે વ્યાજખોરોમાં થોડો ફફડાટ ફેલાયો હતો. જેનો પ્રજામાં ભારે આવકાર મળ્યો હતો. આ ઉપરાંત નાના વ્યાજખોરોથી બચાવવા પોલીસે જે તે સમયે લોક અદાલતો યોજીને જરૂરિયાતમંદોને બેન્કોની લોન અપાવવાનું કામ પણ કર્યું છે. આ ઝૂંબેશ હવે એક્ટિવ નહીં હોવાથી ધીમે ધીમે વ્યાજખોરીના નવા કિસ્સા બહાર આવી રહ્યા છે.એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં એક વેપારીએ વ્યાજે લીધેલા 7.50 કરોડ સામે 11 કરોડ બેન્કથી અને 2.50 કરોડ રોકડેથી ચૂકવી દીધા છતાં તેની મોંઘીદાટ ત્રણ ગાડીઓ પડાવી લીધી છે અને મોર્ગેજ મકાનોને પોતાના નામે કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
આ ઉપરાંત આણંદ, જામનગર અને ખેડા જિલ્લામાં તો વ્યાજખોરોએ માનવ તસ્કરી અને જમીન પડાવી લેવાના મામલા નોંધાયા છે, ઉપરાંત મજબૂર લોકોની કિડની કઢાવીને વ્યાજ વસૂલાત કરી રહ્યાં છે. સરકારે જેમની સામે પગલાં લીધા હતાં તેવા લોકો છૂટીને પાછા સક્રિય બની રહ્યાં છે. આ બધાં કેસોમાં પોલીસ હજી ચૂપ છે.


