માનવ જોષી દ્વારા, અમદાવાદ : રાજ્યભરના છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકથી મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
એકબાજુ ગુજરાતમાં નવરાત્રિનો થનગનાટ શરૂ થઈ ગયો છે ત્યારે બીજી બાજુ હાર્ટ એટેકના વધતા બનાવોને લઈને આ વખતે ગરબા આયોજકો દ્વારા ગરબા સ્થળ પર ખાસ એમ્બ્યુલન્સ અને ડોક્ટરની સેવા ઉપલબ્ધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને ઈમરજન્સીની સ્થિતિમાં કોઈપણ વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી શકાય.
ત્યારે આ પરિસ્થિતિમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં શાળાઓ-કોલેજોમાં એક કે બે દિવસ નવરાત્રિ સેલીબ્રેશનનું આયોજન કરવામાં આવે છે ત્યારે શાળા અને કોલેજ પરિવાર દ્વારા નવરાત્રિ સેલીબ્રેશનના આયોજનમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફનું સ્વાસ્થ્ય વિશે વિચારવું જોઈએ, શાળા પરિવાર દ્વારા સેલીબ્રેશનની સાથે મેડીકલ ટીમ ઉપસ્થિત રહે તેવું આયોજન કરવું જોઈએ.
નવરાત્રિ સેલીબ્રેશનમાં વિવિધ શાળાઓ-કોલેજોના અસેમ્બલી હોલમાં, પાર્ટી પ્લોટમાં કે પછી રમતના મેદાનમાં ગરબે ઘૂમતા બાળકો કોઈ આકસ્મિક શારીરિક તકલીફનો ભોગ ન બને તે સૌ શાળા-કોલેજોના સંચાલકોની નૈતિક જવાબદારી છે. માટે મિર્ચી ન્યુઝના માધ્યમથી દરેક શાળા-કોલેજોના સંચાલકોને નમ્ર અપીલ છે કે શાળા-કોલેજ પરિવાર દ્વારા યોજાતા ગરબામાં ચીફ ગેસ્ટ તરીકે કોઈ ડોક્ટરને બોલાવી શકે, નહિતર ગરબા ચોક પાસે કોઈ ડોકટર ઉપલબ્ધ રાખે કે પ્રાથમિક સારવાર મળે એવી વ્યવસ્થા અથવા તો ઇમરજન્સી સેવા માટે આસપાસની હોસ્પિટલમાં અગાઉથી જાણ કરેલ હોય તો કોઈ પણ અકસ્માત સમયે મેડિકલ સેવા ઉપલબ્ધ થઈ શકે. તહેવારની ઉજવણી સાથે વિધાર્થીઓના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવશે તો માં અંબાની સ્તુતિમાં સોનામાં સુગંધ ભળશે અને વિધાર્થીઓને પણ એક સુરક્ષાકવચ પ્રદાન થશે.


