અમદાવાદ : રાજ્યમાં આત્મહત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે, જેમાં અમદાવાદમાં પોલીસકર્મીએ આપઘાત કર્યો છે. વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસેની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ હિતેશ આલે ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. 28 વર્ષીય મૃતક હિતેશ આલ મૂળ ભાવનગર જિલ્લાના રહેવાસી હતા. 2017માં તેઓ પોલીસ વિભાગમાં જોડાયા હતા અને N ડિવિઝન ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસેની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અને N ડિવિઝન ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હિતેષભાઈ આલ નામના પોલીસકર્મીના આપઘાતનું કારણ અકબંધ છે. વેજલપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસને કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ કે અન્ય વિગતો ન મળી આવતા પરિવારજનોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં ખૂલ્યું કે, ગઈકાલે તેઓ અત્યંત તણાવમાં હતા. મિત્રનો બર્થ ડે હોવાથી તેની પાર્ટીમાં જવાના હતા.પરંતુ મિત્રએ જ્યારે ફોન કર્યો તો મૂડ ન હોવાનું કહી પાર્ટીમાં જવાનો ઈનકાર કર્યો હતો.


