ગાંધીનગર : બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની વાર્ષિક પરીક્ષાની સત્તાવાર જાહેરાત કરવામા આવી છે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમાં જણાવ્યા પ્રમાણે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11મી માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાશે. જેમાં ધોરણ 10 નો સમય પરીક્ષાનો સવારનો રહેશે. અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે. જ્યારે ધોરણ-12 પછી લેવાતા ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના રોજ લેવાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું કે, ધોરણ-10, સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારો માર્ચ-2024ની પરીક્ષા તા.11/03/2024 થી તા.26/03/2024 દરમ્યાન લેવાનાર છે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મુકવામાં આવેલ છે, જેન તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યઓએ નોંધ લેવી.
ધોરણ 12 પછીની લેવાતી ગુજકેટની પરીક્ષા બીજી એપ્રિલ 2024 ના રોજ લેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરાઈ છે. ગુજકેટમાં ચાર વિષયની પરીક્ષા લેવાશે. ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને પેરા મેડિકલ શાખાઓમાં જવા માટે ગુજકેટની પરીક્ષા ખૂબ જ મહત્વની છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય ભાષામાં પરીક્ષાના પ્રશ્નપત્ર આપવામાં આવશે.


