અમદાવાદ : નવરાત્રીના પાવન દિવસો એટલે તન, મન અને આત્માથી આદ્યશક્તિની ઉપાસના કરવાનો સુનેહરો લહાવો. બાળકોમાં આ સંસ્કારના બીજ સોસાયટીના માધ્યમથી આરોપિત થાય છે અને શાળાની છત્રછાયામાં તેનો વિકાસ વટવૃક્ષમાં પરિણમે છે.

આવા જ એક પ્રયાસ થકી ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા દ્વારા નવરાત્રીના બીજા નોરતે મા દુર્ગાના નવ આબેહૂબ સ્વરૂપ વિદ્યાર્થીનીઓને બનાવી, પોતાના ગુરુજનો પાસે કંકુ, તિલક અને અક્ષતની પૂજાનો લાભ આપ્યો હતો. રામ, લક્ષ્મણ, જાનકી અને રાવણના પાત્રને આબેહૂબ ભજવી જીવંત કરવામાં આવ્યું હતું.
શાળાના નર્સરી થી ધોરણ 8 સુધી બાળાઓ જ્યારે મન મૂકીને ગરબા રમી ત્યારે જ્ઞાનદા પ્રાથમિક શાળાનું પટાંગણ એક એવા ચાચરચોકમાં પરિવર્તન પામ્યું જ્યાં એકસાથે અસંખ્ય દેવી તથા જોગણી ગરબે ઘૂમતી હોય તેવું જણાયું હતું.


