અમદાવાદ : આજે નવરાત્રીનું આઠમું નોરતું છે. જેને મહાઅષ્ટમી અને દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે માતાજીના દર્શનનું અનોખું માહાત્મ્ય છે. આઠમના પર્વ પર શક્તિપીઠો સહિત માઈ મંદિરોમાં વિશેષ હોમ હવનનું આયોજન થાય છે.ખાસ કરીને અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પણ આજે સવારથી ભક્તોનો ધસારો જોવા મળ્યો છે.માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યા છે.નવરાત્રીના આઠમા દિવસે મહાઅષ્ટમી પર માતા ગૌરીની પૂજામાં શ્વેતા કે જાંબુડી રંગ શુભ માનવામાં આવ્યો છે.
અમદાવાદના નગરદેવી માં ભદ્રકાળીના મંદિરે મહાઅષ્ટમીના દિવસે માઇ ભક્તોની ભારે ભીડ જામી છે. વહેલી સવારથી જ દર્શન કરવા ભક્તોએ લાઈન લગાવી હતી.સિંહ ઉપર સવાર થઈ તેમ જ સોળ શણગાર સજીને મા ભક્તોને આશીર્વાદ આપ્યા હતા.માતાજીના દર્શન કરી ભક્તો ધન્ય થઈ ગયા હતા.ભદ્રકાળી મંદિરમાં રાતે 12 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી હવન ચાલશે.આજે ભક્તો દ્વારા ભદ્રકાળીને 100થી વધુ ધજા ચડાવવામાં આવશે.તો સાથે વહેલી સવારે પાંચ વાગ્યે હવન બાદ નૈવેદ્ય અર્પણ કરવામાં આવશે.
અમદાવાદમાં ભદ્રકાળી માતાજી નગરદેવી તરીકે સાક્ષાત બિરાજમાન છે. નવરાત્રીમાં 64 જોગણીઓ બહાર ફરવા નીકળે છે. જેથી ભક્તો માતાજીના આશિર્વાદ લેવા અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી માતાજીના દર્શને આવતા હોય છે અને દિલથી માતાજીના દર્શન અને સેવા કરે છે. આઠમ અને નોમના દિવસે માતાજીના દર્શનનો લાહવો લેવા જેવો છે. જેથી ભક્તોની ભારે ભીડ આઠમ અને નોમમાં રહે છે. ભદ્રકાળી મંદિરે રાત્રે આઠમનો હવન શરુ થશે જે સવારે પૂર્ણ થશે.


