અમદાવાદ : દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે. ત્યારે આ પહેલા અમદાવાદમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને શહેરમાં વિવિધ ખાણીપીણીની દુકાનો પર તપાસ હાથ ધરી છે. ત્યારે AMC દ્વારા લેવામાં આવેલા ઘી અને પનીરના સેમ્પલ પૈકી ઘીના 3 અને પનીરનું એક સેમ્પલ ફેલ થયુ છે.
દિવાળાના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે AMCના ફૂડ વિભાગ દ્વારા ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે AMCની આ તપાસમાં કેટલાક દુકાનદારો દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં AMC દ્વારા લેવામાં આવેલ સેમ્પલોમાંથી કેટલાક ઘી અને પનીરના સેમ્પલો ફેલ ગયા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પાલડી CNG પંપ પાસે આવેલા જલારામ પરોઠા હાઉસમાંથી ફૂડ વિભાગની ટીમે પનીરના સેમ્પલ લીધા હતા. જે AMCની લેબોરેટરીમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે. તેમજ માધુપુરામાં ટાકાટુકા ટ્રાન્સપોર્ટ પાસે આવેલા એચ.પી ફૂડ્સમાંથી લીધેલ ઘીનું સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે.
આ સાથે નિકોલ ગામમાં આવેલ સહજાનંદ ઘી પાર્લરમાંથી લેવામાં આવેલું ઘીનું સેમ્પલ અને મેમનગર સુભાષ ચોક પાસે આવેલ શ્રીજી ડેરી પાર્લરનું ઘીનું સેમ્પલ પણ ફેલ થયુ છે.સબસ્ટન્ડર્ડનો અર્થ થાય છે કે જે મુખ્ય તત્વ છે તે તત્વમાં અન્ય કોઇ અખાદ્ય વસ્તુ ઉમેરવામાં આવી છે. અથવા કલર તેમજ પામોલીન તેલ ઘીમાં ઉમેરાયું છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત દિવસમાં ફુડ વિભાગે વિવિધ ખાદ્યચીજના 143 સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા હતા.


