અમદાવાદ: દર વર્ષે 31મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે ગુજરાત સરકારે વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે સરદાર પટેલ જ્યંતી નિમિતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ જ્યંતીના દિવસે રન ફોર યુનિટીના સંદેશ સાથે મેરેથોનનું આયોજન કરાયું હતું. મેરેથોન સાબરમતી રિવરફ્રન્ટના ઈવેન્ટ સેન્ટરથી શરૂ કરવામાં આવી હતી. 4.2 કિલોમીટરના અંતરની મેરેથોનમાં હજારો લોકો જોડાયા હતા.આ યુનિટી રનમાં અંદાજિત 7,000થી વધુ લોકો જોડાયા હતા. CM ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.જેમાં સંસદસભ્ય, ધારાસભ્ય, મેયર, તમામ કાઉન્સિલર તેમજ અન્ય મહાનુભાવો ભાગ લીધો હતો.

અમદાવાદ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ મહાનગરપાલિકા દ્વારા સરદાર પટેલની જન્મ જયંતિના પ્રસંગે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં પણ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.


