અમદાવાદ: અમદાવાદની ઓળખ બની ગયેલું રિવરફ્રન્ટ હવે જાણે કે, ગુનાખોરીનું હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં ત્રણ હત્યાના પગલે ચકચાર મચી ગઈ છે. જેમાં એક હત્યામાં તો શહેરમાં જાહેરમાં છરીના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી હતી. જ્યારે બીજી હત્યા જાહેરમાં રિવરફ્રન્ટ પર ફાયરિંગ કરીને કરવામાં આવી હતી. આના પગલે સમગ્ર શહેરમાં સન્નાટો છવાઈ ગયો છે.જ્યારે ત્રીજી ઘટનામાં વટવા વિસ્તારમાં મહિલાની હત્યા કરવામાં આવેલ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ પ્રથમ હત્યાની ઘટનામાં જાહેરમાં છરી મારીને હત્યા શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મિર્ઝાપુર કુરેશ હોલ પાસે અંગત અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. 24થી 25 વર્ષીય બિલાલનું અંગત અદાવતમાં મર્ડર થયું હોવાનું સામે આવ્યું છે. આ દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. લોકો નાની-નાની વાતમાં વાત કરવાના બદલે મર્ડર કરી રહ્યા છે.
આ ઉપરાંત બીજી હત્યામાં આજે વહેલી સવારે રિવરફ્રન્ટ પશ્ચિમ વિસ્તારના દધીચિ બ્રિજ નીચે લોહી લુહાણ હાલમાં યુવકનો મૃતદેહ હોવાની જાણ થતાં જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા યુવકના છાતીના ભાગે ગોળી વાગેલાનું નિશાન મળી આવ્યું હતું. જેથી ફાયરિંગ કરીને યુવકનું હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકનું નામ સ્મિત ગોહેલ અને ચાંદલોડિયાનો રહેવાસી હોવાનુ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
હત્યાની બંને ઘટનાના પગલે અમદાવાદ પોલીસની વિવિધ ટીમ સક્રિય થઈ ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં લાગેલી છે. આ યુવાનની હત્યા મોડી રાત્રે કે વહેલી સવારે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બંને હત્યા અંગત અદાવતમાં બની હોવાનું સામે આવ્યું છે. હાલ આ હત્યા અંગે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત અન્ય એક હત્યા વટવામાં થઈ હતી. મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં મહિલાના પાડોશીએ જ તેની હત્યા કરી હતી. આના પગલે વટવા વિસ્તારને આંચકો લાગ્યો છે. મહિલાની પાડોશી સાથેના ઝગડામાં હત્યા થઈ છે. મુસ્કાન, સાહિલ અને શહઝાદ નામના આરોપીએ આ હત્યા કરી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


