સુરત : ફરી એકવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંવેદનશીલ અભિગમ સામે આવ્યો છે. સુરતના પાલ ઉમરા બ્રિજ પાસે આપઘાત કરવા જતી યુવતીને હર્ષ સંઘવીએ કાફલો રોકીને 5 મિનિટ સમજાવી હતી. ઘરે જવા માગતી ન હોવાથી યુવતીને પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી.
મોડી રાત્રે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતમાં પોતાના નિવાસ સ્થાનેથી અડાજણ વિસ્તારના એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. દરમિયાન પાલ-ઉમરા બ્રિજ પર એક યુવતી આપઘાત કરવા પહોંચી હતી. જોકે યુવતી સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને યુવતીને આપઘાત કરતાં બચાવી લીધી હતી. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પસાર થતા પોતાનો કાફલો અટકાવી તાત્કાલિક આ યુવતી પાસે પહોંચી ગયા હતા અને યુવતી આપઘાત કરવા ત્યાં આવી છે તેને લઈને તેની પૂછપરછ બાદ તેને સમજાવી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમની સંવેદનશીલતા માટે પ્રખ્યાત છે. તેઓ સતત લોકોની મદદે આવતા હોય છે, અને લોકોની વચ્ચે રહેતા હોય છે. આમ, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી બાદ સંવેદનશીલ ગૃહ રાજ્યમંત્રી મળ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે લોકોમાં પ્રખ્યાત હતા.