અમદાવાદ : અમદાવાદની અસારવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના તબીબની ગંભીર બેદરકારી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સિવિલ હોસ્પિટલમાં કલાકો સુધી તબીબ ન આવતા બાળકનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ કલાકો સુધી સારવાર ન મળતા જૂનાગઢના 11 માસના બાળકનું મોત થયું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ જૂનાગઢના મેંદરડા નજીક સમઢિયાળા ખાતે રહેતા નરસિંહ પરમારના 11 મહિનાના પુત્ર માહિરને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામા આવ્યો હતો. અહીં 6 નવેમ્બરે તેનું ઓપરેશન થયું. પરંતુ ઓપરેશનના કલાકોમાં જ આ બાળકને સખત તાવ આવ્યો હતો. જોકે સિવિલ હોસ્પિટલમાં કલાકો સુધી તબીબ ન આવતા સારવારના અભાવે બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ થયો છે.પરિવારની ફરિયાદ બાદ સમગ્ર મામલાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે.
બાળકના પરિવારજનોનો આક્ષેપ છે કે, ફરજ પરના નર્સને તાવ વિશે કહેતા જાતે તાવ માપી લેવા માટે કહ્યું હતું. તેમજ સ્ટાફને વારંવાર ડોક્ટરને બોલાવવા માટે વિનંતી કરવા છતા સાંજે 6 વાગ્યા સુધી કોઈ ડોક્ટર ન આવ્યા અને બાળકનું મોત થઈ ગયું હોવાનું પરિવારે આક્ષેપ કર્યો છે.ઘટના સામે આવ્યા બાદ સિવિલના સુપ્રીટેન્ડન્ટ સમક્ષ જવાબદારો સામે પગલા ભરવા માટે માંગ કરી છે.
અમદાવાદની સિવિલ હોસ્ટિપલની બેદરકારી અવારનવાર સામે આવતી રહે છે એ જ અરસામાં હવે વધારે એક કિસ્સો સામે આવ્યો છે અને એક 11 મહિનાના બાળકનું મોત થયું છે. દિવાળીના તહેવાર ટાંણે જ આવી ખબર કોઈનો પરિવાર આખરે કેમ સહન કરી શકે, ઉત્સાહના માહોલમાં ઘરમાં માતમ પ્રસરે છતાં સિવિલનું તંત્ર કેમ જાગવાનું નામ નથી લઈ રહ્યું.


