અમદાવાદ : આપણી સામે વારંવાર ‘પતિ, પત્ની અને વો’ ના કિસ્સાઓ આવતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી સામે આવ્યો છે. એક મહિલાએ તેમના પ્રેમી સાથે મળીને તેના જ પુત્રનું અપહરણ કર્યું હતું. આ બાદ પતિના પરિવારના સભ્યો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા બાળકને છોડાવી લેવામાં આવ્યું હતું.
ઘટના એવી છે કે રાણીપ વિસ્તારમા 4 વર્ષનો બાળક ઘરે દાદા-દાદી સાથે રમી રહયો હતો. ત્યારે આરોપી માતા જયશ્રી મૌર્ય અને તેનો પ્રેમી દિનેશ પરમાર અને તેમનો મિત્ર મનોજ ઉર્ફે કાળુ રિક્ષામાં આવ્યા હતા. જેઓ બાળકના દાદા-દાદીને છરી બતાવીને 4 વર્ષના બાળકનુ અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. જે ઘટનાની જાણ પરિવારે પોલીસને કરતા પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને તાત્કાલિક શોધખોળ શરૂ કરી. અને પોલીસ કંટ્રોલ માંથી ઘટનાના મળેલા મેસેજના કલાકોમાં જ જયશ્રી અને દિનેશની પોલીસે ધરપકડ કરીને બાળકને કલોલ થી મુક્ત કરાવી પિતાને સોંપ્યો હતો.
રાણીપ પોલીસે મહિલા અને બે શખ્સો સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ કરી ત્યારે મહિલા કલોલમાં તેના પ્રેમી સાથે લિવઇનમાં રહેતી હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતું. જેથી પોલીસે એક ટીમ ત્યાં મોકલતા મહિલા અને દિનેશ નામના આરોપીને શોધી કાઢ્યા હતા. આરોપીની ધરપકડની સાથે સાથે પોલીસે બાળકને પણ છોડાવ્યું હતું અને તેના પિતાને સોંપવામાં આવ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મહિલા આરોપી રાણીપ વિસ્તારમાં જ પતિ સાથે રહેતી હતી. પતિ વશરાજ મૌર્ય સાથે જયશ્રીના લગ્ન 2016માં સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા, તેમનો એક 4 વર્ષનો દિકરો પણ છે, પરંતુ જયશ્રી અને તેના પ્રેમી દિનેશ પરમાર સાથે પરિચયમાં આવતા તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બાદ, જયશ્રી પ્રેમીને પામવા 4 વર્ષના દિકરાને છોડી પ્રેમી સાથે નાસી ગઈ હતી. બાદમાં છ માસ સુધી જયશ્રી અને દિનેશ લિવ ઈન રિલેશનશિપમાં સાથે રહ્યા હતા, પ્રેમીને મેળવ્યા બાદ જયશ્રી પોતાના 4 વર્ષના દિકરાને પણ સાથે રાખવા માંગતી હતી.
આથી જ, પ્રેમી સાથે મળીને તેણે બાળકનું અપહરણ કર્યુ હતું, પરંતુ કાયદાકીય પ્રક્રિયાથી બાળકને મેળવવાને બદલે ગુનાહિત કૃત્ય કરતા પોલીસે ગુનો નોંધીને બન્ને આરોપીની ધરપકડ કરી છે. હાલ રાણીપ પોલીસે બાળકના અપહરણ કેસમાં જયશ્રી અને દિનેશ પરમારની ધરપકડ કરી છે, જયારે મનોજ ઉર્ફે કાલી હજુ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત, બાળકના અપહરણ પાછળના કારણોની અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.