અમદાવાદ : શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસમાં સતત વધારો થતા અમદાવાદ પોલીસ કમિશ્નર એક્શનમાં આવ્યા હતા.પોલીસ કર્મચારીઓમાં દારુડિયાઓને પકડવા ઉત્સુકતા આવે તે માટે ઈનામની જાહેરાત કરવામા આવી હતી. આ જાહેરાત થયાના એક અઠવાડિયાનો જ સમય થયો છે ત્યારે પોલીસ કર્મચારીઓએ એક જ દિવસમાં દારુ પીને ગાડી ચલાવનારા 39 લોકોની સામે FIR નોંધીને ધરપકડ કરી છે.
અમદાવાદ શહેર માં દારૂ પીને ગાડી ચલાવનારની ધરપકડ કરનાર પોલીસ કર્મચારીને રૂપિયા 200 ના ઇનામની જાહેરાત ની અસર 👇
તારીખ 24.12.23. ના રોજ એક જ દિવસમાં અમદાવાદ શહેર ખાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અંતર્ગત ફુલ 39 લોકો ઉપર FIR નોંધીને ધરપકડ કરવામાં આવેલ છે#AhmedabadPolice
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) December 25, 2023
અમદાવાદ પોલીસે ટ્વિટર પર લખ્યું કે, અમદાવાદ શહેરમાં દારૂ પીને ગાડી ચલાવનારની ધરપકડ કરનાર પોલીસ કર્મચારીને રૂપિયા 200 ના ઇનામની જાહેરાતની અસર જોવા મળી છે. અમદાવાદ પોલીસની ઈનામની જાહેરાતને આવકારતી કામગીરી જોવા મળી રહી છે. શું પોલીસ કર્મીઓ ઈનામ વગર દારૂડીયા નહિ પકડી શકે. શું અમદાવાદના પોલીસ કર્મચારીઓને ઈનામ આપશો તો જ કામ કરશે. જો ઈનામ મળવાની લાલચમાં અમદાવાદ પોલીસ આટલું કામ કરી શકે છે, તો તેમને બારે મહિના દારૂ પીને છાટકા કરતા લોકો કેમ દેખાતા નથી.
ત્યારે અમદાવાદ પોલીસની આ જાહેરાત અનેક સવાલો પેદા કરે છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે જ, અને દારૂ પીનારાઓને રોકવાનું કામ પોલીસનું છે. ગુજરાતમાં આવતા દારૂને રોકવાનું કામ પણ પોલીસનું છે. ત્યારે શું ઈનામ આપશો તો જ પોલીસ કર્મચારીઓ કામ કરશે. દારૂડીયા પકડવા એ પોલીસની ફરજમાં આવે છે અને જો પોલીસના નાક નીચે બેરોકટોક દારૂ પીવાય છે તો તે પોલીસની બેદરકારી છે. હકીકતમાં, ઈનામ વગર કામ કરવાનું પોલીસ કર્મચારીના ફરજમાં આવે છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે તો તેનો અમલ કરાવવો પણ પોલીસની ફરજ છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં દારૂ પીને ગાડી ચલાવી તો હવે ખેર નથી. નશામાં વાહન ચલાવનારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાશે. દારૂડીયા ચાલકોને પકડવા પોલીસને પ્રોત્સાહન રાશિ મળશે. અમદાવાદ પોલીસ દ્વારા જાહેરાત કરાઈ કે, પોલીસ કર્મચારીઓને 200 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.