અમદાવાદ : અમદાવાદની G ડિવિઝન સરદારનગરમાં પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરેશ વાઘેલાનો મૃતદેહ મહેસાણાના કડી નજીક મણીપુર પાસે કેનાલની પાસેથી મળતા ચકચાર મચી ગઇ છે.પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ ટ્રાફિક વિભાગમાં G ડિવિઝન સરદારનગરમાં પોલીસ ચોકીમાં ફરજ બજાવતા નરેશભાઈ ડાહ્યાભાઈ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. 25 ડિસેમ્બરે તેઓ નોકરી પર પણ નહોતા આવ્યા અને ઘરેથી ગુમ થઈ ગયા હતા. જે મામલે પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા. સાથે પોલીસ પણ તપાસ કરી રહી હતી. આ દરમિયાન કડી કેનાલમાંથી એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમ્યાન ડભોડા નજીક નર્મદા કેનાલ પાસેથી તેમની કાર મળી આવી હતી. બાદ આસપાસ તપાસ દરમિયાન પોલીસ કર્મીનો મૃતદેહ કડી નજીક કેનાલમાંથી મળ્યો હતો.
જેની તપાસ કરતા મૃતદેહ ગુમ હેડ કોન્સ્ટેબલ નરેશભાઈનો હોવાનું જાણવા મળ્યું હતું. નરેશભાઈ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.