ગાંધીનગર : રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ રજા પ્રવાસનો લાભ હવે વંદે ભારત ટ્રેનમાં પણ લઈ શકશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓને રજા પ્રવાસ અને એલટીસીનો લાભ ચાર વર્ષે મળવાપાત્ર થાય છે. ચાર વર્ષે 6000 કિલોમીટરની મર્યાદામાં રજા પ્રવાસ કે LTCનો ઉપયોગ કરી શકે છે. હવે આ રજા પ્રવાસ કે LTCના ઉપયોગમાં વંદે ભારત ટ્રેનનું ભાડું પણ માન્ય ગણાશે. LTCના બ્લોક 2020 થી 2023 શરૂઆતથી જ રજા પ્રવાસ રાહત માટે વંદે ભારતની મુસાફરીનો સમાવેશ કરાયો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે LTC/વતન પ્રવાસનો લાભ 6000 કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે.ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનાં કર્મચારીઓ દ્વારા તેમને મળતા આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના વ્યાપક હિતમાં આ સંદર્ભમાં ઉદાર વલણ અપનાવીને LTC બ્લોક-2020-23ની શરૂઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમ્યાન આ નિર્ણયનો લાભ મળશે.મુખ્યમંત્રીના દિશાદર્શનમાં નાણા વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવશે.