ગાંધીનગર : ગાંધીનગરના રૂપાલ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ વરદાયિની માતાજીની પલ્લી ભરવાની પાંડવકાળથી ચાલી આવતી પરંપરા આજે પણ જીવંત છે. રૂપાલ ગામમાં નવમા નોરતાની રાત્રે માતાજીની પલ્લી ભરવામાં આવી હતી, જેમાં ભક્તો દ્વારા હજારો કિલો ઘીનો અભિષેક કરાતાં રૂપાલ ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં.
આ વર્ષે રૂપાલ ગામમાં નીકળેલી પલ્લી પર લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક થયો છે. મળતી રિપોર્ટ પ્રમાણે પલ્લી ઉત્સવમાં 4 લાખ લિટરથી વધુ ઘી અર્પણ કરાયું છે. માનતાના ભાગ રૂપે પણ પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો. શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. 12 લાખથી વધુ ભાવિકોએ રૂપાલની પલ્લીના દર્શન કર્યા. મંદિર ઉપરાંત ગામમાં 24 સ્થળોએ માતાની પલ્લી રોકાઈ હતી.
ઉલ્લેખનીય છે કે રૂપાલ ગામે પલ્લીની આ પ્રથા મહાભારત કાળથી ચાલતી આવે છે. દંતકથા અનુસાર પાંડવોએ અજ્ઞાતવાસમાં જતા પહેલાં તેમના શસ્ત્રો છૂપાવ્યા હતા અને તે માટે તેમણે દેવીનું આહ્વાન કર્યું હતું. વરદાયિની માતાએ પ્રગટ થઈ પાંડવોને વરદાન આપ્યું હતું કે તેમનો અજ્ઞાતવાસ નિર્વિઘ્ને પાર પડશે.
તો સામે પાંડવોએ પણ સંકલ્પ કર્યો હતો કે શારદીય નવરાત્રીની નવમી રાત્રે તેઓ વરદાયિની માતાના રથને બહાર કાઢીને ઘીનો અભિષેક કરાવશે. માન્યતા અનુસાર તે સમયથી આ પરંપરા ચાલી રહી છે. લાખો શ્રદ્ધાળુઓ માનતાના ભાગ રૂપે પણ વરદાયિની માતાને ઘી અર્પણ કરે છે. ખાસ તો બાળકોને પણ પલ્લીના આશીર્વાદ લેવડાવે છે.