અંબાજી :સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચતા હોય છે. યાત્રાધામ અંબાજીનું વિશેષ મહત્વ છે. ભક્તો બોલ માળી અંબે જય, જય અંબેના નાદ સાથે દર્શન કરતા હોય છે. અંબાજીમાં દર્શન કરવા જતાં ભક્તો જરૂર મોહનથાળનો પ્રસાદ લેતા હોય છે. પરંતુ હવે અંબાજીમાં ભક્તોને ચાનો પ્રસાદ પણ મળશે. અંબાજી મંદિરમાં આજે શરદ પૂનમથી ચાચરચોકમાં ચાના પ્રસાદનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અંબાજી મંદિરમાં દર્શન કરવા જતા ભક્તોને દર પૂનમે હવે ચાનો પ્રસાદ મળશે. ઊંઝાના જય અંબે ગ્રુપ દ્વારા મંદિરના ચાચરચોકમાં ચાના પ્રસાદની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હવે દર પૂનમે અંબાજીના ચાચરચોકમાં ચાની પ્રસાદી માટે કેમ્પ રાખવામાં આવશે. મંદિરમાં દર્શન કરતા આવતા ભક્તોને નિઃશુલ્ક ચાનો પ્રસાદ અપાશે.
તમને જણાવી દઈએ કે મોટી સંખ્યામાં અંબાજી મંદિરમાં ભક્તો દર્શન માટે પહોંચતા હોય છે. ખાસ કરીને દર મહિનાની પૂનમના દિવસે તો લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અત્યાર સુધી અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ જરૂર ભક્તો લેતા હતાં. પરંતુ હવે ભક્તો માટે ચાના પ્રસાદની વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે. આજથી આ ચાના પ્રસાદની શરૂઆત કરવામાં આવી છે.