અમદાવાદ : અમદાવાદના કાલુપુરથી અવર-જવર કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. આગામી દિવસોમાં કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનના કારણે કાલુપુર-સારંગપુર બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ કારણસર રેલવે સ્ટેશનના મુખ્ય રસ્તાને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ બ્રિજ રૂ. 439 કરોડના ખર્ચે બનાવાશે, જેનું કામ દોઢ વર્ષ સુધીમાં પૂર્ણ થાય તેવો અંદાજ છે.
કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે આ સ્ટેશનના મુખ્ય રસ્તાને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનની અંદર જવા માટે જૂનો એન્ટ્રી ગેટ મુસાફરો માટે ચાલુ રાખવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનના મુસાફરો બહાર નીકળવા માટે પશ્ચિમ બાજુએ ફૂટ બ્રિજનો ઉપયોગ કરી શકશે. મુસાફરોને મેઇન રોડ પર જવું હોય તો મુખ્ય માર્ગને જોડતો 30 ફૂટ નવો જે રોડ બનાવ્યો છે, તેનો ઉપયોગ કરી શકશે.
સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન તેમજ કાલુપુર બાજુ જતાં લોકો સારંગપુર ટ્રાફિક સર્કલથી સીંધી માર્કેટથી પાંચકુવા થઈને જમણી બાજુ રેલવે સ્ટેશન પહોંચી શકશે. જો કોઈ વ્યક્તિએ કાલુપુર જવું હોય તો તે મોતીમહેલ હોટલવાળા રસ્તાનો ઉપયોગ કરી શકશે. કાલુપુરથી સારંગપુર, રાયપુર, કાંકરિયા, ગીતા મંદિર જવું હોય તો કાલુપુર રેલવે સ્ટેશનથી જે સિંગલ વન-વે ખુલ્લો રાખવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરી શકશે.