અમદાવાદ: અમદાવાદ શહેરમાં રાજ્યની સૌથી મોટી પોલીસલાઈન બનવા જઈ રહી છે, જેમાં 920 મકાનો હશે, જે તમામ મકાનો 13 માળના ટાવર અને બે માળ પાર્કિંગ બેઝમેન્ટ સાથે બનાવવામાં આવનાર છે. આગામી સમયમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનારાં આ મકાનોમાં તમામ પોલીસકર્મી જેને મકાન ફાળવવામાં આવશે તે ફર્નિચર સાથે ફાળવવામાં આવનાર છે.અમદાવાદના ઘાટલોડિયામાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અને ઘાટલોડિયા પોલીસ લાઇન બનવા જઈ રહી છે. ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની સાથે જ 920 મકાન બનશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનાર આ પોલીસ લાઈનના મકાનોમાં 13 માળના કુલ 18 ટાવર નિર્માણ પામશે. જેમાં પોલીસ કર્મચારીઓ માટે ડબલ ફ્લોર બેઝમેન્ટ સહિત ફર્નિચર સાથે 2bhk ફ્લેટ તૈયાર કરવામાં આવશે. આવનારા સમય આ આખો પ્રોજેક્ટ 250 કરોડનો હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. તમામ પોલીસકર્મી જેને મકાન ફાળવવામાં આવશે તે ફર્નિચર સાથે ફાળવવામાં આવનાર છે. જેમાં પરિવારને જરૂરી તમામ વસ્તુઓ મળી રહે અને એક સારું જીવન તેઓ પરિવાર સાથે રહે તે માટે હવે નવી અત્યાધુનિક પોલીસ લાઈનો બની રહી છે. જે માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસ કર્મચારીઓને જે 920 મકાન ફાળવવામાં આવશે તેમાં પંખા, લાઈટ, બેડ સહિતની પાયાની તમામ સુવિધા અને સાથે ફર્નિચર પણ આપવામાં આવશે. એટલું જ નહીં, બે બ્લોકને જોડીને ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બનવાનું છે. આગામી સમયમાં અમદાવાદ શહેરના અત્યાધુનિક પોલીસ સ્ટેશન પૈકીનું એક હશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ મહિનાના અંત સુધીમાં ખાતમુહૂર્ત થઈ શકે છે, પોલીસ કર્મચારીઓ માટે બનનાર મકાનમાં સહેજ પણ કચાશ ન રહે તે માટે આખું કામ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના અનુભવી લોકોના મોનિટરિંગમાં થવાનું પણ જાણવા મળી રહ્યું છે.