અમદાવાદ : ગુજરાતીઓનો મનપસંદ તહેવાર ગણાતા ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઉત્તરાયણના દિવસે જાનહાનિ તેમજ અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળતો હોય છે. જે આ વર્ષે ન બને અથવા નહિવત બને તે માટે અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગમાં પતંગ નહીં ચગાવી શકે, તેમજ રોડ ઉપર પતંગ પકડવા માટે દોડાદોડી નહીં કરવા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલ દ્વારા બહાર પાડવામાં આવેલાં જાહેરનામા અનુસાર, શહેરમાં ઉત્તરાયણના તહેવારના અનુસંધાને તારીખ 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2025 સુધી કોઈપણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર અન્ય વ્યક્તિને ઈજા થાય અથવા ભય પમાડે તે રીતે પતંગ ઉડાડી શકશે નહીં. આ સિવાય જાહેર માર્ગ ઉપર દોડીને પતંગ પકડવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ નિયમોનું મુખ્ય કારણ છે અકસ્માતો અને જાનહાનિની ઘટનાઓને રોકવી. પાછલા વર્ષોમાં પતંગની દોરીના કારણે ઘણી બધી દુર્ઘટનાઓ બની છે, જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને કેટલાકના મૃત્યુ પણ થયા છે. આવી ઘટનાઓને રોકવા માટે આ નિયમો લાવવામાં આવ્યા છે.
જાહેર માર્ગ પર દોડીને પતંગ પકડવા પર પણ પ્રતિબંધ છે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે પણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવશે તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ સજા કરવામાં આવશે.