અમદાવાદ : અમદાવાદના ખ્યાતિકાંડને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. ખ્યાતિકાંડમાં ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. મળતા અહેવાલો અનુસાર મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમબ્રાન્ચે આરોપીને દબોચ્યો હતો. આરોપી કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવતા હતો તે વખતે ક્રાઈમબ્રાન્ચે આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરી છે.હવે આ કેસમાં અનેક ખુલાસા થવાની સંભાવના છે.
મળતા અહેવાલો અનુસાર, અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષના મોત બાદ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી રહી હતી. જેમાં કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી રહ્યો હતો. આ સમયે તેની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. સતત તેને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. તો આરોપી દ્વારા આગોતરા જામીન માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા, પરંતુ જામીન મંજૂર ન થયા નહોંતા. આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ ભારત આવ્યો છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ પોર્ટ પરથી તેની ધરપકડ કરી છે.
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કાર્તિક પટેલે આગોતરા જામીન માટે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણીમાં કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ બંનેની દલીલો સાંભળ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના બિનજરૂરી ઓપરેશન અને મોત મામલે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને ડાયરેક્ટરો સામે વસ્ત્રાપુર પોલીસ મથકે ત્રણ ફરિયાદો નોધાઇ છે. ખ્યાતિકાંડ બાદ કાર્તિક પટેલ વિદેશ ભાગી ગયાની ચર્ચા ચાલી રહી હતી.
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં કડી ખાતે 10 નવેમ્બર 2024ના રોજ ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રી સારવાર બાદ અમદાવાદમાં સારવાર કરાવવા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા જેમાં ગામમાંથી 19 લોકોને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જે બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા જેમાં સ્ટેન્ડ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. જે બાદ દર્દીના સબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરીને હોબાળો મચાવ્યો હતો.
ખ્યાતિકાંડના આરોપીઓ
ડો. પ્રશાંત વઝીરાણી
ચિરાગ રાજપૂત
મિલિન્દ પટેલ
રાહુલ જૈન
પ્રતીક ભટ્ટ
પંકિલ પટેલ
ડો. સંજય પટોળિયા
રાજશ્રી કોઠારી
કાર્તિક પટેલ


