અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા નકલી ખાદ્યસામગ્રીના ઉત્પાદન કરતી કંપની તથા સ્થળો પર રેડ પાડવામાં આવી રહી છે.શહેરના કુબેરનગરમાં આવેલી દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાંથી 1500 કિલો ભેળસેળિયું પનીર પકડાયું છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે રેડ પાડી 3 નમૂના લઈ અંદાજે રૂ.3.15 લાખના પનીરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. દ્વારકેશ ડેરીમાંથી લગ્ન પ્રસંગ તેમજ શહેરની અનેક જાણીતી હોટલ અને રેસ્ટોરન્ટમાં પનીર મોકલવામાં આવતું હતું. ફૂડ વિભાગ હવે તપાસ કરી રહી છે કે દ્વારકેશ ડેરીમાંથી ક્યાં ક્યાં હોટલ અને રેસ્ટોરન્ટમાં પનીર મોકલાયું છે તેની તપાસ કરાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કુબેરનગરમાં આદર્શ સ્કૂલ પાસે દ્વારકેશ ડેરી પ્રોડકટ્સમાં રેડ કરી હતી. જ્યાં વિભાગને શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ કરતા પેઢી 10723026000784 નંબરથી લાઇસન્સ ધરાવતી હોવાનું સામે આવ્યું. જ્યાં સ્થળ પરથી પનીરની સાથે પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડ મળી આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા પનીરનો 1, પામોલીન ઓઈલનો 1 અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસીટીક એસીડ ગ્લેસીયલ (99.85%)નો 1 એમ કુલ – 3 (ત્રણ) નમૂના લેવામાં આવ્યા, જ્યારે બાકીનો 1500 કિગ્રા જથ્થો જાહેર જનતા સુધી ન પહોંચે તે માટે સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો, જપ્ત કરવામાં આવેલા જથ્થાની કિંમત સવા ત્રણ લાખ રૂપિયા જેટલી થાય છે.
દ્વારકેશ ડેરી પાસે લાઇસન્સ હતું પણ પનીરમાં મોટાપાયે ભેળસેળ કરવામાં આવતી હતી. પેઢીના સંચાલક જિજ્ઞેશ બારોટને સાથે રાખી પનીર, પામોલિન તેલ, ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ એસિટિક એસિડના નમૂના લેવામાં આવ્યા હતા. તપાસ બાદ આ પનીર ખાવાલાયક ન હોવાનું જણાયું હતું. ભેળસેળિયું પનીર ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યું હતું અને રિપોર્ટ આવ્યા બાદ કાયદા મુજબ એકમ સામે કાર્યવાહી કરવામાં આવશે.


