અમદાવાદ : દેશમાં છેલ્લા ઘણાં સમયથી એરપૉર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. આ દરમિયાન જેદ્દાહથી અમદાવાદ આવેલી ઈન્ડિગોની ફ્લાઈટમાંથી એક હસ્તલિખિત ચિઠ્ઠી મળી આવી હતી જેમાં અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે. સુરક્ષા એજન્સી દ્વારા તમામ મુસાફરોને ફ્લાઈટમાં બહાર કાઢી લેવામાં આવ્યા છે અને ચિઠ્ઠી લખનારની ઓળખ મેળવવા માટે તમામનાં રાઈટિંગ સેમ્પલ લેવાનો નિર્ણય કરાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગો ફ્લાઈટમાંથી મુસાફરો જ્યારે બહાર નીકળ્યા ત્યારબાદ ક્લીનર દ્વારા ફ્લાઇટ ક્લીન કરવામાં આવી રહી હતી. તે દરમિયાન હાથથી લખેલી ચિઠી મળી આવી હતી.જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ભરેલી ચિઠી અંગે એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી છે. પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આ ચિઠ્ઠી એફએસએલમાં પણ મોકલવામાં આવશે તથા જે પણ મુસાફર ફ્લાઈટમાં હતા તેના પણ લખાણના સેમ્પલ લેવામાં આવશે. મુસાફરમાંથી કોઈ મુસાફરે ચિઠ્ઠી લખેલું સાબિત થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ એરપોર્ટમાં સીઆઇએસએફ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
હાલ પોલીસ આવો નનામો પત્ર કોણે લખ્યો અને શા માટે લખવામાં આવ્યો તેની તપાસ કરી રહી છે. તપાસના અંતે કોઇ વાંધાજનક વસ્તુ ન મળી આવતા રાહતનો શ્વાસ લીધો છે પરંતુ એરપોર્ટ પોલીસે અજાણ્યા પેસેન્જર સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.


