અમદાવાદ : અમદાવાદ શહેરમાં અગ્નિ સુરક્ષા અને જીવન સુરક્ષાના ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નોર્થ વેસ્ટ ઝોનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ તથા એસ્ટેટ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર સેફ્ટી સુવિધાઓમાં ગંભીર ખામીઓ ધરાવતી અને અગાઉ આપવામાં આવેલી નોટિસો છતાં જરૂરી સુધારાત્મક કામગીરી પૂર્ણ ન કરનાર કુલ 6 હોટલોને ગત રાત્રે, 16 જૂન 2026ના રોજ સીલ કરવામાં આવી હતી.કોર્પોરેશનની આ આકરી કાર્યવાહીથી હોટેલ અને રેસ્ટોરન્ટ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રિપોર્ટ મુજબ, AMCની ફાયર ઇમરજન્સી અને એસ્ટેટ વિભાગની નોર્થ-વેસ્ટ ઝોનની ટીમે પશ્ચિમ વિસ્તારના મુખ્ય વ્યાપારી કેન્દ્રો પર વિશેષ ઓડિટ હાથ ધર્યું હતું. આ તપાસ ગુજરાત ફાયર એક્ટ, GDCR, NBC અને BISની કડક માર્ગદર્શિકાઓ હેઠળ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન હોટેલોના કિચન, ફાયર ફાઇટિંગ સિસ્ટમની કાર્યક્ષમતા, ઇમરજન્સી એક્ઝિટ અને લાઇફ સેફ્ટી વ્યવસ્થાઓમાં ગંભીર ખામીઓ અને નિયમોનો ભંગ જોવા મળ્યો હતો, જેના પગલે તંત્રએ સીલિંગના કડક પગલાં ભર્યા હતા.
સીલ કરવામાં આવેલી મુખ્ય હોટેલોની યાદી:
હોટેલ રુદ્ર (ન્યૂયોર્ક ટાવર, એસ.જી. હાઇવે, થલતેજ)
હોટેલ 4 ફૂડ (થલતેજ)
હોટેલ કેપટાઉન (થલતેજ)
એપોલો હોટેલ (બોડકદેવ)
હોટેલ ગ્રાન્ટ (બોડકદેવ)
હોટેલ લેક ઇન (ગુરુકુલ રોડ, વસ્ત્રાપુર)
ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરમાં ઝડપથી વધી રહેલા વ્યાપારી સંકુલો અને ભીડભાડવાળા સ્થળોને ધ્યાનમાં રાખીને આ વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ આ જ રીતે ચાલુ રહેશે અને નિયમોનું પાલન ન કરનારી કોઈપણ મિલકતને બક્ષવામાં નહીં આવે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે માનવ જિંદગી સાથે રમત રમનારી કોઈપણ પ્રકારની બેદરકારી ભવિષ્યમાં પણ સહન કરવામાં આવશે નહીં.


