અમદાવાદ : અમદાવાદના બહુચર્ચિત ઈસ્કોન બ્રિજ પર ફૂલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને 9 નિર્દોષ લોકોના જીવ લેનાર નબીરો તથ્ય પ્રજ્ઞેશ પટેલ જેલના સળિયા ગણી રહ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ આરોપી તથ્ય વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કર્યા છે. પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જો કે, હવે 9 લોકોનો ભોગ લેનાર અકસ્માતના આરોપીને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બહુચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે, તેમને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. જેના પગલે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અત્રે જણાવીએ કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે જુલાઈ 2023માં અકસ્માત સર્જ્યો હતો જેમાં 9 લોકોના જીવ લીધા હતા તેમજ 13 લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ અગાઉ તથ્ય પટેલના પિતાએ અગાઉ કેન્સરની સારવાર માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માગ્યા હતા જે બાદ પ્રજ્ઞેશ પટેલને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા હતા. અમદાવાદના ઈસ્કોન ઓવરબ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે કોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી. જેને ગુજરાત હાઈકોર્ટે અગાઉ ફગાવી દીધી હતી. ગ્રામ્ય કોર્ટના ઓર્ડર છતાં તપાસ માટે કેન્સર હોસ્પિટલ જવાનો પ્રજ્ઞેશ પટેલે ઈનકાર કર્યો હતો. તેથી કોર્ટે હંગામી જામીન અરજી ફગાવી હતી. જો કે હવે તેની જામીન અરજી મંજુર કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે ગત જુલાઈ 2023માં ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું.