અમદાવાદ : 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. કાશ્મીરમાં થયેલા આ જનધ્ય હુમલાના પડઘા દેશ અને દુનિયાભરમાં પડ્યા છે. આ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.એટલું જ નહીં પરંતુ અંબાજી, દ્વારકા અને સોમનાથ સહિતના મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હાઈ એલર્ટને પગલે ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. મળતી વિગતો પ્રમાણે રાજ્યભરના રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ ખાસ વોચ રાખવામાં આવી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અંબાજી, સોમનાથ, દ્વારકા, પાવાગઢ સહિતનાં ધાર્મિક સ્થળોએ પોલીસની સ્પેશિયલ ટીમો તહેનાત કરી દેવાઇ છે. સોમનાથ અને દ્વારકા દરિયાકિનારે આવેલા હોવાથી ત્યાં હાઇ એલર્ટ આપી દેવાયું છે.અંબાજી મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડબાય કરી દેવાયા છે. જ્યારે એસઓજીની ટીમ પણ મંદિર ખાતે તહેનાત કરી દેવાઇ છે. ક્વિક રિસ્પોન્સ ટીમ પણ આજથી મંદિરમાં રહેશે. મંદિરમાં આવતા તમામ શ્રદ્ધાળુઓનું ચેકિંગ કરવામાં આવશે, જ્યારે કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટેની તમામ તૈયારીઓ કરી દેવાઇ છે.
નોંધનીય છે કે, અત્યારે ગુજરાતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમ ગોઠવી દેવામાં આવી છે અને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે જ નહીં પરંતુ પોલીસે રાજ્યભરમાં વાહન ચેકિંગ પણ શરૂ કરી દીધું છે. દ્વારકા અને સોમનાથ દરિયા કિનારે આવેલા હોવાથી અહીં સુરક્ષામાં ખાસ વધારો કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, લોકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળ્યો છે. લોકોએ પોતાની તમામ પ્રકારની યાત્રાઓને રદ્દ કરી દીધી છે.


