અમદાવાદ : જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકો અને પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, વકીલ એકતા પરિવાર, વાડજ-નારણપુરા દ્વારા પરશુરામ ચોક, વ્યાસવાડી, નવા વાડજ ખાતે શોક સભા અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાનો હતો.
આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ કાયરતાપૂર્ણ હુમલાએ રાષ્ટ્રના નાગરિકોમાં દુઃખ અને રોષની લાગણી જન્માવી છે. મૌન રેલી દ્વારા શોકગ્રસ્ત પરિવારો સાથે એકતા દર્શાવવામાં આવી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.


