અમદાવાદ: અમદાવાદમાંથી વહેતી સાબરમતી નદી પર વાસણા ખાતે બેરેજ બનાવવામાં આવ્યો છે. બેરેજના દરવાજાના રીપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના માટે થઈને રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરાશે.આ નિર્ણય પાછળનું કારણ એ છે કે રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના દરવાજાના સમારકામ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી 12 મે થી 5 જૂન સુધી ચાલશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે (SRFDCL) આ અંગે એક સત્તાવાર યાદી જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વાસણા બેરેજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચોમાસા પૂર્વે જરૂરી સમારકામના ભાગરૂપે બેરેજના દરવાજાનું રિપેરિંગ કરવામાં આવશે. આ કામગીરી 12 મે થી 5 જૂન દરમિયાન હાથ ધરાશે. તે ઉપરાંત વાસણા બેરેજના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની કામગીરી પણ શરૂ થવાની છે, જેના માટે નદીને સંપૂર્ણપણે ખાલી કરવી જરૂરી છે.
આ સમયગાળા દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે નદીના પટને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે નદીના પટને સ્વચ્છ કરવાની આ કામગીરીમાં જનભાગીદારીને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આ કામગીરીને કારણે સુભાષ બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીનો સમગ્ર નદીનો વિસ્તાર લગભગ પાણી વિનાનો થઈ જશે.
ઉલ્લેખનીય છે કે સુભાષ બ્રિજ નજીક સાબરમતી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પણ ચાલી રહી છે. આથી, સુભાષ બ્રિજથી આગળના નદીના પટથી લઈને વાસણા બેરેજ સુધીનો વિસ્તાર ખાલી કરવામાં આવશે.
દેશની 13 સૌથી પ્રદૂષિત નદીમાં સાબરમતીનો પણ સમાવેશ થાય છે. જાણકારોના મતે સાબરમતી નદી બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડના લેવલના ગ્રેડમાં બીજા નંબરે છે. એટલે કે તે અતિ ભયજનક છે અને તેનું પાણી પીવાલાયક નથી રહ્યું. લોકો જળ પ્રદૂષણના કારણે મોટી સંખ્યામાં બીમાર થઇ રહ્યા છે.


