
અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. રાણીપ વિસ્તારમાં બકરા મંડી પાસે પૂરઝડપી કારે ગંભીર અકસ્માત સર્જ્યો છે. કારચાલકે 3-4 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલમાં દાખલ કરાયા હતા, જેમાંથી એક ગંભીર છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના રાણીપ વિસ્તારમાં ગત મોડી રાત્રે વેગનઆરના ચાલક અને માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મચારીએ 3-4 વાહનોને અડફેટે લીધા બાદ કાર દીવાલમાં ઘૂસાડી દીધી હતી. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક સૂત્રો મુજબ કારચાલક દારૂના નશામાં હતો અને પૂરપાટ ઝડપે કાર ચલાવી ત્રણ વાહનો અને લારી સહિતની વસ્તુઓને ટક્કર મારી હતી. અકસ્માત કરનારની કારમાં નંબર પ્લેટ પણ ન હતી. પોલીસે અકસ્માતને લઈ વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટનામાં ચારેય વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે, અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વેગનઆરના ચાલક હાલમાં માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી રહ્યા છે, આ અગાઉ તેઓ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, સ્થાનિકોએ કારચાલક પોલીસ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી છે.
ચાર પૈડાની ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે. અને પૂરપાટ ઝડપે ડ્રાવિંગ કરવા લાગે છે. ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા, કોઈ અન્ય માટે સજા ન બની જાય. અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી. તેવામાં એક્સીલેટર દબાવીને શખ્સો ગાડીની સ્પીડ તો વધારી દે છે. પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે. જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે. અમદાવાદમાં ફરી એકવાર આવી જ ઘટના બની છે.