અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઠેક ઠેકાણેથી ખાણીપીણીની ચીજવસ્તુઓમાં જીવજંતુ નિકળવાની ઘટના સામે આવી રહી છે એવામાં અમદાવાદ શહેરમાં એક પીઝા રેસ્ટોરેન્ટની વાનગીમાંથી વંદો દેખાયો હોવાની માહિતી મળી રહી છે. જાગૃત ગ્રાહક દ્વારા આ મામલે વીડિયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો હતો.આ વીડિયો કોર્પોરેશનના ફૂડ વિભાગ સુધી પહોંચ્યો હતો, જેથી ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક આ સમગ્ર મામલે તપાસ કરવા માટે પહોંચી હતી. ત્યાર બાદ સીલ માર્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સીજી રોડ ઉપર આવેલા ઓક્ટેન પીઝા પાર્લરના ફૂડમાં વંદો હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. આ વીડિયો કોર્પોરેશનના ફૂડ વિભાગ સુધી પહોંચ્યો હતો, કોર્પોરેશનની ટીમ પહોંચી ત્યારે ઓકટન્ટ પિત્ઝા રેસ્ટોરન્ટના કિચનમાં ડ્રેનેજ લાઈન આવેલી છે, જે ઓવરફ્લો થયેલી જોવા મળી હતી. ગટરનું ગંદુ પાણી કિચનમાં આવી જતું હતું. જે જગ્યા ઉપર ફ્રિજમાં શાકભાજી અને ફળો રાખ્યા હતા ત્યાં યોગ્ય સફાઈ કરવામાં આવી નહોતી અને વસ્તુઓ ગમે ત્યાં મૂકી દેવાયેલી હતી. સફાઈ કર્યા વિના શાકભાજી અને ફળોનો ઉપયોગ થતો હોય તેવું જણાતું હતું. આમ સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ ફૂડ સેફટી એક્ટનું પાલન ન થતું હોવાને લઈને સીલ મારવામાં આવ્યું છે.
એએમસી દ્વારા સમયાંતરે ચેકિંગ કરવાનું હોય છે જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રામભરોસે જ કાર્યવાહી ચાલે છે. તેવી સ્થિતિમાં જો કોઇ નાગરિક જાગૃત હોય અને વીડિયો વાયરલ કરે તો પોતાનું નાક કપાયાની શરમે કાર્યવાહી કરતા હોય છે. જો કે કોર્પોરેશન નિયમાનુસાર કોઇ કાર્યવાહી કરતું નથી. જેના કારણે વેપારીઓ બેફામ બન્યા છે. સામાન્ય રીતે આવા કિસ્સામાં બિલ માફ કરીને માફી માંગીને જ કામ પતાવી દેવામાં આવતું હોય છે.