અમદાવાદ : તાજેતરમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં એને રદ કરવાની ફરજ પડી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-159, જે બોઇંગ 788ની હતી અને બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક-ઓફ થવાની હતી, એ ટેક્નિકલ ખામીના કારણે રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતાં.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ રદ કરાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે, ફ્લાઇટ ટેક-ઓફના માત્ર થોડાક કલાકો પહેલાં જ આ ટેક્નિકલ ખામી ધ્યાનમાં આવી હતી. સદનસીબે, સમયસર આ ખામી પકડાઈ જતાં મોટી દુર્ઘટના ટળી છે અને બધા યાત્રીઓના જીવ બચી ગયા, જોકે આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લંડન જવા નીકળેલા અનેક યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા હતા.
પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની આ સતત બીજી ફ્લાઇટ છે, જેને રદ કરવી પડી છે. અગાઉ પણ એક ફ્લાઇટમાં ખામી સર્જાતાં એને રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા દ્વારા યાત્રીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ વારંવાર આવી ઘટનાઓ બનવાથી યાત્રીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.