અમદાવાદ : શહેરના ચાંદલોડીયા બી પેનલથી ખોડીયાર રેલવે લાઇન વચ્ચે રાત્રે એક ગંભીર ઘટના સામે આવી છે. જ્યાં અજાણ્યા ઇસમે રેલવે પાટા પર આશરે 20 ફૂટ લાંબી લોખંડની એન્ગલ મૂકી ભારતની પ્રિમીયમ વંદે ભારત ટ્રેનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર દુર્ઘટના થવા માત્ર મિનિટોની વાર હતી, પરંતુ ટ્રેન પાયલટની ચુસ્ત દેખરેખના કારણે મોટી દુર્ઘટના ટળી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતીમાં આવેલા સર્વોત્તમનગરમાં રહેતા અને જે ખોડીયાર રેલવે સ્ટેશન ખાતે રેલપથના સિનિયર સેક્શન ઇજનેર તરીકે ફરજ બજાવે છે એવા ભાગવત બેહેરાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે પશ્ચિમ રેલવેમાં અમદાવાદ ડીવીઝનમાં ખોડીયાર રેલવે સ્ટેશન ખાતે સીનીયર સેક્શન એન્જીનીયર તરીકે નોકરી કરે છે. તેમને ચાંદલોડીયા બી પેનલ રલવે સ્ટેશન લાઇનથી ખોડીયાર રેલવે લાઇન વચ્ચે યોગ્ય રીતે રેલ વ્યવહાર જળવાઇ રહે તે જોવાની કામગીરી સોંપવામાં આવી છે.
રવિવારે રાતના સાડા આઠ વાગે તેમને મેસેજ મળ્યો હતો કે કોઇએ ખોડીયાર રેલવે લાઇન થાંભલા નંબર 510 પાસે રેલવે ટ્રેક પર લોંખડની એન્ગલ વાળીને મુકી હતી. આ સમયે વેરાવળથી આવી રહેલી વંદેભારત એક્સપ્રેસમાં લોખંડની એન્ગલ ફસાઇ જતા પાયલોટે ટ્રેનને ઉભી રાખતા મોટી દુર્ઘટના થતા અટકાવી હતી. બાદમાં આશરે નવ મિનિટ બાદ ટ્રેનમાંથી એન્ગલ કાઢીને ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન તરફ રવાના કરવામાં આવી હતી. વંદેભારત એક્સપ્રેસ પસાર થઇ તે પહેલા આ ટ્રેક પરથી ગાંધીધામ જતી એક માલવાહક ટ્રેન પણ પસાર થઇ હતી. આ અંગે ઘાટલોડીયા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.