અમદાવાદ : CM ભૂપેન્દ્ર પટેલે લોકોને રંજાડતા અને ધાક ધમકીઓ આપીને કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા પોલીસ અને રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્રને સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ખોટી પ્રવૃત્તિઓ કરનારાઓ અને લોકોને હેરાન કરનારા અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે તેવી કડકાઈથી પોલીસે કામગીરી કરવી પડે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, CM એ જુલાઈ-25ના રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એક ગ્રામીણ નાગરિકનો પોતાના ખેતરમાં જવાનો રસ્તો માથાભારે તત્વોએ બંધ કરી દઈને તેને માર મારવાની કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આવા દિશા નિર્દેશો આપ્યા હતા.તેમણે સંબંધિત જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક અસરથી આ ગ્રામીણ નાગરિકને પોલીસ બંદોબસ્ત આપીને તેને રંજાડતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા અને તેના ખેતરનો રસ્તો ખુલ્લો કરાવી આપવા સૂચનાઓ આપી હતી.
દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા રાજ્ય સ્વાગતમાં પ્રજાજનો-નાગરિકો મુખ્ય પ્રધાન સમક્ષ ગાંધીનગરમાં પોતાની રજૂઆતો-સમસ્યાઓ રૂબરૂ કરતા હોય છે. આ ઉપક્રમમાં જુલાઈ-૨૫ના રાજ્ય સ્વાગતમાં કુલ 108 રજૂઆતકર્તાઓ પોતાની વિવિધ રજૂઆતો સાથે હાજર રહ્યા હતા.મુખ્ય પ્રધાન કાર્યાલયના જનસંપર્ક એકમ દ્વારા આ રજૂઆતો સાંભળીને તેમાંથી 97 જેટલી રજૂઆતો સંબંધિત જિલ્લા વહિવટી તંત્ર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજુ થયેલી 11 રજૂઆતો તેમણે ધ્યાનપૂર્વક સાંભળીને ગૌચર જમીનમાં દબાણો દુર કરવા, જાહેર જગ્યા પરના અન અધિકૃત દબાણો હટાવવા, જી.આઈ.ડી.સી.ના કોમર્શીયલ પ્લોટમાં નામની તબદીલી સહિતના પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને પોઝીટીવ એપ્રોચ અપનાવીને ઝડપી નિવારણ માટેની કાર્યવાહીની સુચનાઓ આપી હતી.