અમદાવાદ : ખોખરામાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં શાળા પરિસરની બહાર એક વિદ્યાર્થીની હત્યાના મામલે થયેલી તોડફોડ બાદ, ક્રાઈમ બ્રાન્ચે આ કેસના સંદર્ભમાં એક નિવેદન બહાર પાડ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે માહિતી આપી હતી કે પીડિતાના પરિવારની માંગણી મુજબ, તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ખોખરામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જોકે, બાળકના મોત બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ શાળામાં ઘૂસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા હતા અને શાળામાં ભારે તોડફોડ કરી હતી. ગઈકાલે બનેલી હત્યાની ઘટના બાદ વિદ્યાર્થી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ હતો. વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
વિદ્યાર્થીના મોત બાદ પરિવાર અને સમાજ રોષે ભરાયો હતો અને શાળામાં જઈને તોડફોડ કરી હતી. પરિવાર અને સિંધી સમાજ શાળામાં ઘુસી ગયા હતા અને પ્રિન્સિપાલ અને શાળાના શિક્ષકો સાથે ઝપાઝપી કરી હતી. તેમજ શાળામાં રહેલી વસ્તુઓની પણ તોડફોડ કરી હતી. આ સિવાય ટોળાએ શિક્ષકો અને પ્રિન્સિપાલને માર માર્યો હતો. શાળાએ આવેલા ટોળાઓ દ્વારા ન્યાય આપોના બેનર સાથે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવાર દ્વારા ન્યાય ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીના મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
વિરોધ કરી રહેલા લોકોએ રસ્તા પર બેસી ન્યાય માટે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. વાલીઓ દ્વારા રોડ પર બેસી જઈ રસ્તા રોકવામાં આવી રહ્યા છે. આ મુદ્દે શાળાના એડમિન મયુરિકા પટેલે કહ્યું કે, અમે બાળક આરોપી સામે પગલાં લીધા જ હતા. આ પહેલાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પણ પગલાં લેવાયા હતા. આ ઘટના શાળાની બહાર રોડ પર બની હતી, જે વિશે અમને જાણ પણ નથી. અમે આરોપી બાળક સામે એક્શન લઇશું અને તેને એલસી આપી દઇશું. બાળક શાળામાં છરી લઈને નહતો આવ્યો તેણે બહાર ગાડીમાં રાખી હતી અને શાળાની બહાર આખી ઘટના બની છે.
ખોખરા પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો શાળાના જ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. હુમલામાં વિદ્યાર્થીને પેટમાં ગંભીર ઈજા થઈ છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલાનું કારણ થોડા દિવસો પહેલા શાળામાં થયેલી ઝઘડો હતો. જૂની દુશ્મનાવટને કારણે વિદ્યાર્થીઓએ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે.
અત્યાર સુધીમાં, કાયદાના વિરોધાભાસમાં રહેલા એક સગીર સહિત બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. હત્યામાં વપરાયેલ હથિયાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. પીડિતાના પરિવારે આરોપ લગાવ્યો છે કે આ ઘટનામાં સાત જેટલા સગીરો સંડોવાયેલા હતા. ક્રાઈમ બ્રાન્ચ આગામી દિવસોમાં આ દાવાઓની તપાસ કરશે.


