અમદાવાદ : છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મોતની ઘટનાએ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં ચકચાર જગાવી છે. આ ઘટના બાદ તમામ માતાપિતાઓમાં તેમના સ્કૂલે જતા બાળકોને લઈને ડર અને ભયનું મોજુ ફેલાઈ ગયુ છે. શાળાએ ગયેલુ બાળક જ્યા સુધી હેમખેમ ઘરે પરત ન ફરે ત્યા સુધી એ દરેક માતાપિતાના જીવ પડીકે બંધાયેલા રહે છે. હત્યાના બે દિવસ બાદ આખરે સ્કૂલ સામે અને પ્રિન્સીપાલ સામે ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી ની નિર્મમ હત્યાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને હત્યાના બે દિવસ બાદ આખરે સ્કૂલ સામે અને પ્રિન્સીપાલ સામે ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારનાર આરોપી વિદ્યાર્થીને રિમાન્ડ હોમમાં મોકલી દેવાયો છે. જો કે આરોપી સગીર હોવાથી જુવેનાઈલ એક્ટ મુજબ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલુ હથિયાર કબજે કર્યુ છે અને સ્કૂલ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના નિવેદન નોંધ્યા છે. ક્રાઈમ બ્રાંચે ઘટના શાળાના CCTV સહિતના પુરાવા કબજે કર્યા છે.
સ્કૂલના પાર્કિગમાં જ તમામ શાળાના જ માથાભારે વિધર્મી વિદ્યાર્થીએ નયન સંતાણીને પેટમાં ચાકુના ત્રણ થી ચાર ઘા મારીને નિર્મમ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો એ સમયે શાળાનો તમામ સ્ટાફ શાળામાં હાજર હોવા છતા કોઈ દ્વારા જખ્મી વિદ્યાર્થી ની મદદ કરવામાં આવી ન હતી. વિદ્યાર્થી ઈજાગ્રસ્ત, લોહીલુહાણા હાલતમાં 38 મિનિટ સુધી તરફડિયા મારતો તડપી રહ્યો હતો પરંતુ શાળા દ્વારા ના તો તેમના માતાપિતાને ફોન કરીને જાણ કરવામાં આવી હતી ના તો વિદ્યાર્થીને કોઈ પ્રાથમિક મેડિકલ સારવાર આપવામાં આવી હતી.
શાળા દ્વારા તેના જ વિદ્યાર્થીને તેના હાલ પર મરવા માટે છોડી દેવાયો હતો. સ્કૂલના પાર્કિગમાં જ ઘટના બની હોવા છતા વિદ્યાર્થીને હોસ્પીટલે ખસેડવા માટે શાળાનો એકપણ સ્ટાફ મેમ્બર મદદમાં આવ્યો ન હતો. આક્ષેપ તો એવા પણ છે કે અન્ય એક વિદ્યાર્થીએ ફોન કરવા માટે ફોન માગ્યો હતો તેની પણ મદદ કરવામાં આવી ન હતી. 38 થી 40 મિનિટ જ્યાં સુધી તેના માતા ન પહોંચ્યા ત્યા સુધી તે તડપતો રહ્યો પરંતુ શાળાએ માનવીય મૂલ્યોને સાવ નેવે જ મુકી દીધા હતા. શાળામાં બે થી ત્રણ ફોર વીલ અને બસ ઉપલબ્ધ હોવા છતા વિદ્યાર્થીને હોસ્પિટલ ન લઈ જવાયો.108 એમ્બ્યુલન્સ સુદ્ધા ન બોલાવાઈ.
શાળાની સિક્યોરિટી દ્વારા પણ વિદ્યાર્થીને કોઈ જ મદદ મળી ન હતી. સિક્યોરિટી એ પણ તમામ ઘટના નજર સામે હોવા છતા મૂક પ્રેક્ષક બની રહી હતી હાલ આ તમામ બેદરકારી બદલ શાળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને શાળાના પ્રિન્સીપલ ડૉ. જી.ઇમેન્યુઅલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટના મામલે વાલીને, પોલીસને અને જિલ્લા શિક્ષણાધિકારીને પણ જાણ કરવામાં વિલંબ કરાયાનું પણ સામે આવ્યુ છે.
છેલ્લા બે દિવસથી આ ઘટનાને લઈને સમગ્ર અમદાવાદમાં રોષનો માહોલ છે. સર્વ સમાજના અગ્રણીઓ, વિદ્યાર્થી યુનિયનો, વેપારી આલમ સહિતના તમામે વર્ગના લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે અને શાળા સામે તેમજ આરોપી વિદ્યાર્થીને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે.


