અમદાવાદ : સાબરમતીના પાણી ફરી વોક વે પર ફરી વળ્યા છે. રિવરફ્રન્ટ વોક વે પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે ફરી એક વખત સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતાં રિવરફ્રન્ટના વોક વે સુધી પાણી ઘૂસ્યા છે. પાણી સાથે સાપ પણ આવી રહ્યા છે. જ્યારે પાણી ઘૂસતા વોક વે લોકો માટે બંધ કરાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ધરોઈ અને સંત સરોવરમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે અમદાવાદ રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા હતા. પાણીની આવકના પગલે વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા છે.જેના પગલે સાબરમતી નદી પર વાઈટ સિંગ્નલ લગાવાયું છે.વોકવે પર બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ દ્વારા સતત અને સઘન પેટ્રોલિંગ રાખી લોકોને સતત એલર્ટ રહેવા તથા દિવાલ ઉપર કે કોઈ અન્ય જગ્યા ઉપરથી સેલ્ફી કે ફોટોગ્રાફી કરી જીવનું જોખમ ન ખેડવા સતત સૂચના આપી રહ્યા છે. રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ દ્વારા માઇક વડે જાહેરાત કરીને સતત જાહેર જનતાને સાબરમતી રિવરફ્રન્ટ નજીક દિવાલ પાસે ન આવવા સૂચના આપવામાં આવી રહી છે.
નદીમાં છોડવામાં આવી રહેલા પાણીના પગલે તમામ સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે. જુના વાડજ, પાલડી, ગ્યાસપુર, એલિસબ્રિજ, ધોળકા તાલુકાના 7 ગામો સહિત 28 ગામને એલર્ટ કરાયા છે. દરેક અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવા સૂચના અપાઈ છે.રિવરફ્રન્ટના વોકવે પર પાણી ભરાયા છે. જેના કારણે વોકવે બંધ કરવામાં આવ્યો છે.


