અમદાવાદ : અમદાવાદના અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે લૂંટ વિથ મર્ડરનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ગત મોડી રાતે કેનાલ પાસે એક કારમાં બેઠેલા યુવક-યુવતી પર અન્ય એક યુવકે હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે. હાલ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ આ ઘટનામાં ઘાયલ યુવતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતા એક યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અમીયાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા ગયો હતો. આ દરમિયાન, કેટલાક લુખ્ખા તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. લૂંટના ઇરાદે આવેલા આ અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી.
આ ઘટના બાદ, યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કારમાંથી નિર્વસ્ત્ર મળી આવી હતી. પોલીસને શંકા છે કે લૂંટારાઓએ તેની સાથે પણ અજુગતું કૃત્ય કર્યું હોઈ શકે છે. યુવતીને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેનું ઓપરેશન ચાલી રહ્યું છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના અંગે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવક-યુવતીના પરિવારજનોને મીડિયા સમક્ષ અમુક ચોક્કસ વિગતો જ જાહેર કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ કિસ્સામાં ગુનેગારોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ત્યારે અમદાવાદ ફરી એકવાર લૂંટ વિથ મર્ડરના સનસનીખેજના બનાવથી ચોંકી ગયું છે. અમદાવાદના બર્થડેના દિવસે જ યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ અડાલજ પોલીસે તપાસ શરૂ કરી છે.