અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈસનપુર તળાવ પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે. 1000 થી વધુ ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરશે. 20 થી વધુ જેસીબી સહિતની મશીનો દબાણ સ્થળે પહોંચી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. 500 પોલીસ જવાન અને 500 AMC સ્ટાફ ડિમોલેશનની કામગીરીમાં જોડાયા છે. ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવ મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકાર અને AMC દ્વારા હાલમાં તળાવોના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે તળાવો પર દાયકાઓથી બાંધવામાં આવેલા દબાણોને પણ દૂર કરવા પડી રહ્યા છે. અગાઉ ચંડોળામાં હજારો ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા તેના બાદ આજે ઇસનપુરમાં લગભગ ચાર દાયકાથી તળાવ નજીક બાંધવામાં આવેલા દબાણો પર બુલડોઝરવાળી કરવામાં આવી છે. 500થી વધુ એએમસીના કર્મચારીઓ અને શ્રમિકોની ટોળી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી રહી છે.
ઈસનપુર તળાવની જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહીને સફળ બનાવવા માટે AMC દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી હતી. આ મેગા ઓપરેશન માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય. લગભગ 1,000થી વધુ દબાણો દૂર કરવાની હોવાથી, તંત્ર દ્વારા સવારે વહેલી પરોઢે જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં 20 જેટલા JCB મશીનો અને 500થી વધુ મ્યુનિસિપલ કર્મચારીઓ અને મજૂરોની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તૈનાત છે. અંદાજે 1,000થી વધુ લોકોના રહેણાંક અને અન્ય ગેરકાયદેસર બાંધકામોને હટાવીને તળાવની મૂળ જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, આ પહેલાં અમદાવાદના ચંડોળા તળાવ પાસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 29 એપ્રિલથી શરૂ થયેલી આ કામગીરી પહેલાં આ વિસ્તારમાંથી 800થી વધુ જેટલા શંકાસ્પદ (ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી)ની અટકાયત કરવામાં આવી હતી.બે ફેઝમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરના ઉપયોગથી દબાણ સાફ કરવામાં આવ્યા હતા.


